31 December, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ નાર્વેકર
વિધાનસભ્યો અને સંસદસભ્યોના પરિવારના સભ્યોને સુધરાઈની ચૂંટણીમાં ટિકિટ આપીને પરિવારવાદને પોષવો ન જોઈએ એવું ધોરણ અપનાવનારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતે તેમના વિધાનસભ્ય અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના પરિવારમાં ૩ ટિકિટ ફાળવી છે. નાર્વેકર પરિવારમાંથી રાહુલ નાર્વેકરના ભાઈ અને ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકર, હર્ષિતા નાર્વેકર અને પિતરાઈ બહેન ગૌરવી શિવલકરને ટિકિટ ફાળવવામાં આવી છે. જોકે રાહુલ નાર્વેકરે તેમનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘ત્રણેય ઉમદવારોએ તેમના ટિકિટ અપાયેલા વૉર્ડમાં સારું કામ કર્યું છે એથી તેમને ઉમેદવારી આપવામાં આવી છે. તેમણે કરેલાં સારાં કામને લીધે તેમની સામે કોઈ આહ્વાન જ નથી. મને નથી લાગતું કે તેમની વિરુદ્ધ જેકોઈ ઝુકાવશે તે જીતી શકશે. પાર્ટી તેની આ બેઠકો જાળવી રાખશે.’