14 October, 2020 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને અમૃતા ફડણવીસ
મહારાષ્ટ્રમાં મંદિરોને ન ખોલવા અંગે રાજકારણ ગરમાયું છે. હવે પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે મેદાનમાં ઉતરીને ટ્વીટના માધ્યમે તેમને ટોણો માર્યો છે.
અમૃતાએ બુધવારે ટ્વીટ કર્યું કે મહારાષ્ટ્રમાં બાર અને દારૂની દુકાનોને ખોલવાની છૂટ છે, પણ મંદિર ખતરનાક ઝોનમાં છે. વિશ્વાસ ન કરી શકતા હોય તેવા લોકોએ સર્ટિફિકેટ આપીને પોતાને સાબિત કરવાના હોય છે, આવા લોકો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને લાગુ કરવામાં નિષ્ફળ રહે છે.
મંગળવારે આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ સામસામે આવી ગયા છે. સૌથી પહેલા રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પોતાના પત્રમાં રાજ્યપાલે લખ્યું કે એક તરફ સરકારે બાર અને રેસ્ટોરાં ખોલી દીધાં છે, જોકે મંદિર ખોલ્યાં નથી. આમ ન કરવા પર તમને કોઈ દૈવીસંકેત મળ્યો કે અચાનકથી સેક્યુલર થઈ ગયા.
અમૃતા ફડણવીસ આ પહેલાં પણ ઘણા મુદ્દાઓ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી ચૂક્યાં છે. થોડાક મહિના પહેલાં દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી અંગે એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે ‘ગાંધી’ અટક લખવાથી કોઈ ગાંધી ન બની જાય. આ ટ્વીટ અંગે અમૃતાએ લખ્યું હતું કે એકદમ સાચું દેવેન્દ્રજી. પોતાના નામની આગળ ઠાકરે લગાડવાથી કોઈ ઠાકરે પણ નથી બની શકતું.