13 July, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણના ઘોલપનગરમાં જમીનદોસ્ત થયેલું બિલ્ડિંગ.
કલ્યાણના ઘોલપનગરમાં ચારથી પાંચ માળનું બિલ્ડિંગ અચાનક જ તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ થવાનું હોવાથી એને તબક્કાવાર તોડવામાં આવી રહ્યું હતું. જોકે રવિવારે બપોરે ૨.૦૫ વાગ્યે અચાનક જ એ આખેઆખું તૂટી પડ્યું હતું.
બિલ્ડિંગ પડી રહ્યું હતું એ જોઈને એની બાજુના બિલ્ડિંગમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી દૂર ભાગ્યા હતા. અમુક લોકો જીવ બચાવવા માટે પોતાની બારીમાંથી કૂદીને વિરુદ્ધ દિશામાં ભાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું હતું અને એમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. બિલ્ડિંગ પડ્યું ત્યારે એનો કાટમાળ પાસે આવેલા રસ્તા પર પણ પડ્યો હતો. જોકે ત્યાંથી પસાર થનારાં વાહનોને કે અન્ય લોકોને કોઈ ઈજા થઈ નહોતી.
બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરનારા ડેવલપરે બેજવાબદારીપૂર્વક તોડકામ કરીને લોકોનો જીવ જોખમમાં મૂક્યો હોવાનો આરોપ સ્થાનિક લોકોએ મૂક્યો હતો. એને ધ્યાનમાં રાખીને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)એ તાત્કાલિક આ બાબતે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.