27 April, 2019 12:36 PM IST | મુંબઈ | (મિડ-ડે પ્રતિનિધિ)
મુંબઈ લોકલ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશને હાર્બર લાઇનની એક ટ્રેન શુક્રવારે સવારે સાડાઅગિયાર વાગ્યે બફર સાથે અથડાઈ હતી. નસીબજોગે આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ. અકસ્માતને કારણે ટ્રેનસેવા થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. સીએસએમટી સ્ટેશનના ૧ નંબરના પ્લૅટફૉર્મ પર આ ઘટના બની હતી.
સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. સિંહે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘શુક્રવારે સવારે સાડાઅગિયાર વાગ્યે આ ઘટના બની હતી. અમે સીએસએમટી સ્ટેશને જૅમર બેસાડ્યાં હોવાથી ટ્રેનની ગતિ જો ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઉપર જાય તો આપોઆપ ટ્રેનની સ્પીડ ધીમી થઈ જાય છે અને અમે બફર પણ એટલે જ બેસાડ્યાં છે કે કોઈ મોટી જાનહાનિને ટાળી શકાય. જોકે શુક્રવારે સવારે બનેલી ઘટના કોઈ મોટી દુર્ઘટના નથી અને ટ્રેન બફર સાથે ભટકાયા બાદ પાંચથી દસ મિનિટમાં જ એનું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું અને ટ્રેનો પૂર્વવત્ થઈ હતી.’
આ પણ વાંચો : મુંબઈ: લોકલ ટ્રેનોમાં ચેઇન-સ્નૅચરોને જલસા
માટુંગા અને પરેલ વચ્ચે ટેક્નિકલ ખામીને લીધે ટ્રેનવ્યવહાર ખોરવાયો
મધ્ય રેલવેમાં ટેક્નિકલ ખામીને લીધે લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી. પરેલથી માટુંગા દરમ્યાન પાંચથી છ ટ્રેન એકની પાછળ એક ઊભી રહી ગઈ હતી. સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાવાને લીધે ટ્રેનસેવા ખોરવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.