ભિવંડીમાં જન્મ-મૃત્યુના ૪.૫૦ લાખ રેકૉર્ડ ભેદી રીતે ગાયબ થયા: મેયરે કડક કાર્યવાહીની ચેતવણી આપી

30 March, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગંભીર બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

ભિવંડી મહાનગરપાલિકાના જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગમાંથી નાગરિકો સંબંધિત સાડાચાર લાખ જેટલા રેકૉર્ડ ભેદી રીતે ગાયબ થઈ ગયા હોવાની આશ્ચર્યજનક ઘટના બની છે. આ ગંભીર બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ મામલે માહિતી મળતાં મેયર નારાયણ ચૌધરીએ અધિકારીઓને કડક કાર્યવાહીની ચેતવણી આપતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો બે દિવસમાં આ રેકૉર્ડ્સ પાછા નહીં મળે તો જેકોઈ અધિકારી કે કર્મચારી આને માટે જવાબદાર હશે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જન્મ-મૃત્યુના આશરે ૪.૫૦ લાખ રેકૉર્ડ એક સૉફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જે સૉફ્ટવેર કંપનીને આ કામગીરી સોંપવામાં આવી હતી એની સાથેનો કરાર પૂર્ણ થયા બાદ પણ કંપનીએ આ મહત્ત્વપૂર્ણ ડેટા મહાનગરપાલિકાને સોંપ્યા નથી. કંપનીના ચીફ માર્કેટિંગ ઑફિસર સંદીપ ગાડવેકરની ગેરહાજરીમાં તેમના લૉગ-ઇન આઇડી અને વન ટાઇમ પાસવર્ડ (OTP)નો ઉપયોગ કરીને અનેક બર્થ-ડેથ સર્ટિફિકેટ્સ અપાયાં હોવાની વાત બહાર આવી છે.

mumbai news mumbai bhiwandi bhiwandi nizampur municipal corporation mumbai crime news Crime News