17 December, 2023 10:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમેરિકા તરફથી ભારતમાં ધાર્મિક આઝાદીને લઈને વધુ એક વખત સવાલો ઉઠાવવામાં આવ્યા છે. યુએસ ફેડરલ ગવર્નમેન્ટના સ્વતંત્ર પંચ યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રીલિજિયસ ફ્રીડમે અમેરિકન ધાર્મિક સ્વતંત્રતા કાયદા હેઠળ ભારતને ‘વિશેષ ચિંતા જગાવતો દેશ’ જાહેર કરવા માટે બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનને શુક્રવારે અપીલ કરી હતી, જેના માટે વિદેશોમાં ધાર્મિક લઘુમતીઓને ભારત દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે. આ પંચે જણાવ્યું છે કે ‘ભારત સરકાર દ્વારા રિસન્ટલી વિદેશોમાં રહેલા ઍક્ટિવિસ્ટ્સ, પત્રકારો અને લૉયર્સને શાંત કરવા માટેના પ્રયાસોથી ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે ગંભીર ખતરો ઊભો થયો છે.’
યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રીલિજિયસ ફ્રીડમના કમિશનર સ્ટીફન શનેકે કૅનેડામાં સિખ ઍક્ટિવિસ્ટ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં તેમ જ અમેરિકામાં બીજા સિખ ઍક્ટિવિસ્ટ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારત સરકારની કથિત સંડોવણીને ખૂબ જ ડિસ્ટર્બ કરનારી ગણાવી છે.