10 March, 2025 12:37 PM IST | Syria | Gujarati Mid-day Correspondent
સિરિયામાં થયેલા હિંસાચારનો વિરોધ કરી રહેલા લોકો.
સિરિયામાં ૧૪ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધના તાજેતરના ઇતિહાસમાં થયેલા ભયાનક હિંસાચારમાં બે દિવસમાં આશરે ૧૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી છે. મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં આવી હતી. તેમને ઘરના સભ્યો પર ગોળીઓ છોડવા મજબૂર કરવામાં આવી હતી.
સિરિયાનાં સુરક્ષા દળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ અસદના વફાદારો વચ્ચે બે દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યાર બાદ બદલો લેવાની ભાવનાથી આ હત્યાઓ કરવામાં આવી છે. ૭૪૫ નાગરિકોની હત્યા થઈ છે અને મોટા ભાગના લોકોને નજીકથી ગોળી મારવામાં આવી છે. સુરક્ષા દળના ૧૨૫ કર્મચારીઓ અને ૧૪૮ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના બાદ લતાકિયા અને ટાર્ટસ શહેરની આસપાસ વીજળી અને પાણીની સપ્લાય કાપી નાખવામાં આવી છે.
ત્રણ મહિના પહેલાં વિદ્રોહીઓએ અસદને પદ પરથી હટાવ્યા બાદ સત્તા સંભાળી હતી. હિંસા અટક્યા બાદ સરકારે ફરી મોટા ભાગના વિસ્તારો પર અંકુશ મેળવી લીધો છે.