28 April, 2026 10:17 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
સાધુઓ તેમના સામાનમાં છુપાવીને ડ્રગ્સની દાણચોરી કરતા જણાયા હતા
થાઇલૅન્ડમાં ૪ દિવસની રજાઓ પછી પાછા ફરતી વખતે શ્રીલંકાના ઍરપોર્ટ પર કુલ બાવીસ બૌદ્ધ સાધુઓની અટકાયત કરવામાં આવી હતી કારણ કે આ બૌદ્ધ સાધુઓના સામાનમાંથી ૧૧૦ કિલો ડ્રગ્સ (ભાંગ) મળી આવ્યાં હતાં. આ ડ્રગ્સની ઇન્ટરનૅશનલ માર્કેટમાં કિંમત ૩.૫ મિલ્યન ડૉલર (આશરે ૩૩ કરોડ રૂપિયા) થવા જાય છે.
સાધુઓ તેમના સામાનમાં છુપાવીને ડ્રગ્સની દાણચોરી કરતા જણાયા હતા. આ દાણચોરીનું સંકલન ૩ સાધુઓ દ્વારા કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે, જ્યારે બાકીના ૧૯ જણને કહેવામાં આવ્યું હતું કે તેઓ સ્કૂલનાં બાળકો માટે શૈક્ષણિક સામગ્રી અને મીઠાઈઓ લઈને જઈ રહ્યા છે. જે મઠના મુખ્ય સાધુ હતા તેમને પદચ્યુત કરવામાં આવ્યા છે અને બાકીના સાધુઓ નકલી હોવાનું કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે શ્રીલંકન પોલીસ તપાસ કરી રહી છે.
આ કેસમાં તપાસ કરી રહેલા અધિકારીઓનું માનવું છે કે આ દાણચોરી જાંબુરાલિયા વિસ્તારના એક મંદિરના ૩ સાધુઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ફેસબુક દ્વારા ૧૯ અન્ય લોકોની ભરતી કરી હતી. ભરતી કરવામાં આવેલા સાધુઓના સામાનમાં પાંચ-પાંચ કિલો ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું હતું. 000