28 April, 2026 09:58 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
રશિયાના સૅન્ટ પીટર્સબર્ગમાં ગઈ કાલે અબ્બાસ અરાગચી અને વ્લાદિમીર પુતિન ખૂબ ઉષ્મા સાથે મળ્યા હતા
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી શનિ-રવિના વીક-એન્ડમાં બે વાર પાકિસ્તાનની વિઝિટે ગયા હતા. બન્ને વખત તેમણે પાકિસ્તાનના શાંતિમંત્રણા માટેના પ્રતિનિધિઓે સાથે બેઠક કરીને પોતાની માગણીઓ પ્રસ્તુત કરી હતી. જોકે પાકિસ્તાનના નેતાઓ મધ્યસ્થી માટે તટસ્થ નથી એવો સૂર ઈરાનની સંસદમાંથી સતત ઊઠી રહ્યો હોવાથી વિદેશપ્રધાને રશિયા તરફ નજર દોડાવી હતી. બીજી તરફ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પણ રવિવારે કહ્યું હતું કે અમેરિકાના પ્રતિનિધિઓ હવે શાંતિમંત્રણા માટે ઇસ્લામાબાદ જશે નહીં, ઈરાન ચાહે તો ફોન પર વાતચીત કરી શકે છે.
બીજી તરફ સોમવારે પાકિસ્તાનથી રશિયા પહોંચ્યા પછી અબ્બાસ અરાગચીને પ્રેસિડન્ટ પુતિનનું સમર્થન મળ્યું હતું. રશિયન ન્યુઝ-એજન્સીને રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે દેશની સંપ્રભુતા માટે જે બહાદુરીથી ઈરાને લડત આપી છે એ કાબિલેદાદ છે. પુતિનનું સમર્થન મળતાં અબ્બાસ અરાગચીએ પણ કહ્યું હતું કે ‘ટ્રમ્પ વાતચીત કરવા માટે કાકલૂદી કરી રહ્યા છે કેમ કે અમેરિકા એના એક પણ ઉદ્દેશમાં સફળ નથી થયું. જો અમેરિકા એની શરતો હળવી કરે તો સમાધાન ચોક્કસ થઈ શકે એમ છે.’
ગઈ કાલે સેન્ટ પીટર્સબર્ગમાં અબ્બાસ અરાગચી સાથેની બેઠકમાં વ્લાદિમીર પુતિને મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવા માટે મધ્યસ્થી કરવાની તૈયારી બનાવી હતી. તેમણે કહ્યું હતું કે અમારા તરફથી અમે એ બધું જ કરીશું જે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવને ઘટાડવા માટે જરૂરી હોય.
વ્લાદિમીર પુતિને આશા વ્યક્ત કરી હતી કે ઈરાની લોકોની મુશ્કેલીઓ બહુ જલદી પૂરી થશે. હવે જોવાનું એ રહે છે કે શું રશિયાને મધ્યસ્થ તરીકે સ્વીકારવા માટે અમેરિકા તૈયાર થશે કે નહીં.