05 May, 2025 11:13 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યમનમાં હૂતી વિદ્રોહીઓ તરફથી છોડવામાં આવેલા મિસાઇલે રવિવારે ઇઝરાયલના બેન ગુરિયન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હડકંપ મચાવી દીધો હતો. આ હુમલા બાદ હવાઈ, માર્ગ અને રેલ પરિવહનને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યાં હતાં. મિસાઇલ ઍરપોર્ટ નજીક એક ખાલી મેદાનમાં પડતાં જમીનમાં મોટો ખાડો થઈ ગયો હતો. મિસાઇલ પડ્યા બાદ ઍરપોર્ટ પાસે ધુમાડો ફેલાઈ ગયો હતો અને મુસાફરો ડરથી નાસભાગ કરવા લાગ્યા હતા. ઇઝરાયલી ઍર ડિફેન્સ સિસ્ટમે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ શક્ય ન બન્યું અને આ હુમલામાં ચાર જણને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ મિસાઇલ હુમલાના કારણે ઍર ઇન્ડિયાની ફ્લાઇટને અબુ ધાબી તરફ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ફ્લાઇટ AI 139 દિલ્હીથી ઇઝરાયલની રાજધાની તેલ અવીવ જઈ રહી હતી. ફ્લાઇટ તેલ અવીવમાં ઊતરે એના એક કલાકથી પણ ઓછા સમય પહેલાં આ હુમલો થયો હતો. તેથી વિમાનને અબુ ધાબી તરફ વાળી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા માટે ઍર ઇન્ડિયાએ આગામી છ મે સુધી તેલ અવીવની પોતાની તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે.