અમેરિકા પાછા ફરતા ગ્રીન કાર્ડ હોલ્ડર્સને રેડ સિગ્નલ

25 February, 2026 07:52 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટ પર અટકાવીને તેમની સઘન તપાસ કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું પ્રશાસન આવ્યા બાદ એન્ફોર્સમેન્ટના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા હોવાથી અમેરિકા પાછા ફરતા ગ્રીન કાર્ડધારકોએ ઍરપોર્ટ પર વધુ તપાસ અને અટકાયતનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ૨૦૨૫થી અમેરિકાના ઍરપોર્ટ પર ગ્રીન કાર્ડધારકોની ચકાસણીમાં વધારો થયો હોવાના અહેવાલ છે.

જે ગ્રીન કાર્ડધારકો ૬ મહિનાથી વધુ સમય સુધી અમેરિકાની બહાર રહ્યા હોય, અમેરિકા સાથે તેમના સંબંધ નબળા રહ્યા હોય, તેમનો ગુનાહિત ઇતિહાસ હોય અથવા તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ અમેરિકાવિરોધી હોય તો તેમને અટકાવવામાં આવે છે અને તેમની સઘન તપાસ કરવામાં આવે છે. આવું ટાળવા માટે ગ્રીન કાર્ડધારકોએ તેમની સાથે તેમના નોકરીના દસ્તાવેજ, ટૅક્સ-રેકૉર્ડ અને યુટિલિટી બિલની ચુકવણી જેવા રેસિડન્સના પુરાવા સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.

અમેરિકાના કસ્ટમ્સ અને બૉર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓ ભારતીય ગ્રીન કાર્ડધારકો અને ખાસ કરીને વૃદ્ધોની ખાસ પૂછપરછ કરી રહ્યા છે જેઓ ૬ મહિનાથી વધુ સમય માટે વિદેશમાં (જેમ કે ભારત) રહ્યા પછી પાછા ફરી રહ્યા હોય. અમેરિકાના શિયાળા દરમ્યાન ભારતની મુસાફરી કરતા અને છથી ૧૨ મહિના સુધી પાછા ન ફરતા લોકો માટે આ ચકાસણી વધુ કડક છે, કારણ કે અધિકારીઓને શંકા છે કે તેઓ અમેરિકાને તેમનું મુખ્ય ઘર માનતા નથી.

રીએન્ટ્રી પરમિટ સાથે રાખો

૨૦૨૫ની ૨૬ ડિસેમ્બરથી અમેરિકાના ઍરપોર્ટ પર પ્રવેશ અને બહાર નીકળતી વખતે ગ્રીન કાર્ડધારકો સહિત તમામ બિન-નાગરિકોનો બાયોમેટ્રિક ડેટા (ફોટોગ્રાફ) કૅપ્ચર કરવો ફરજિયાત બન્યો છે. આવા સમયે વકીલો સલાહ આપે છે કે જો તમે ૬ મહિનાથી વધુ સમય માટે બહાર રહેવાના હો તો રીએન્ટ્રી પરમિટ (ફૉર્મ I-131) સાથે રાખો. અમેરિકામાં તમારા રોકાણનો પુરાવો  જેવા કે ટૅક્સ-રિટર્ન, રહેઠાણ દસ્તાવેજ, બૅન્ક-સ્ટેટમેન્ટ તમારી સાથે રાખો. જો તમે ૧ વર્ષથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહો છો તો રીએન્ટ્રી પરમિટ વિના તમારું ગ્રીન કાર્ડ અમાન્ય થઈ શકે છે.

ફૉર્મ I-407 પર સહી નહીં કરતા

ઘણા ગ્રીન કાર્ડધારકોને સેકન્ડરી ઇમિગ્રેશન નિરીક્ષણ માટે ઍરપોર્ટ પર રોકવામાં આવી રહ્યા છે અને કેટલાકને એક રાત માટે અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે. અધિકારીઓ ઘણી વાર વૃદ્ધ ભારતીય ગ્રીન કાર્ડધારકોને ફૉર્મ I-407 (ગ્રીન કાર્ડનો સ્વૈચ્છિક ત્યાગ) પર સહી કરવા દબાણ કરે છે. ઇમિગ્રેશન વકીલો દબાણ હેઠળ ઍરપોર્ટ પર તમારું ગ્રીન કાર્ડ સરેન્ડર ન કરવાની સલાહ આપે છે (ફૉર્મ I-407 પર સહી કરશો નહીં), ફક્ત ઇમિગ્રેશન જજ જ ગ્રીન કાર્ડ રદ કરી શકે છે.

united states of america donald trump india international news world news news