ગાઝામાં ફરી એક વખત યુદ્ધ શરૂ

02 December, 2023 12:35 PM IST  |  Tel aviv | Gujarati Mid-day Correspondent

હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો હોવાનો ઇઝરાયલનો દાવો

ગાઝાપટ્ટીના દક્ષિણમાં આવેલા રફાહમાં ગઈ કાલે ઇઝરાયલી હુમલામાં વિનાશ થયેલી જગ્યાનું નિરીક્ષણ કરતા પૅલેસ્ટિનિયન.

તેલ અવિવઃ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે ગઈ કાલે ગાઝાપટ્ટી પર ફરી એક વખત લશ્કરી હુમલો શરૂ કરી દીધો છે. એક અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હમાસ આતંકી સમૂહે યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો અને ઇઝરાયલ પર રૉકેટોનો મારો ચલાવ્યો હતો. ઇઝરાયલના જણાવ્યા મુજબ સાત દિવસના યુદ્ધવિરામ બાદ લડાઈ ફરી શરૂ થઈ છે. આ સમયગાળા દરમ્યાન ગાઝામાં હમાસે કેદ કરેલા ઇઝરાયલના ૧૦૫ નાગરિકોને મુક્ત કરાયા છે, જેમાં ૮૧ ઇઝરાયલી, થાઇલૅન્ડના ૨૩ અને ફિલિપીન્સની એક વ્યક્તિનો સમાવેશ થાય છે. એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૧૩૭ બંધક હજી પણ હમાસ અને અન્ય આતંકી સમૂહોના કબજામાં છે. ઇઝરાયલના વડા પ્રધાનની ઑફિસ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. એણે એની તમામ બંધક મહિલાઓને મુક્ત કરવાની જવાબદારી નિભાવી નથી તેમ જ ઇઝરાયલ પર રૉકેટથી હુમલો કર્યો છે. હવે અમે ફરી લડાઈ તરફ વળ્યા છીએ, અમે તમામ બંધકોને મુક્ત કરાવીશું અને હમાસને ખદેડી મૂકીશું તેમ જ એવી ખાતરી આપીએ છીએ કે ફરી ક્યારેય ગાઝા હવે ઇઝરાયલના લોકોને ડરાવી નહીં શકે. 

નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રેસિડન્ટ ઇસાક હરઝોગને મળ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઇઝરાયલના પ્રેસિડન્ટ ઇસાક હરઝોગ સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ COP28 વર્લ્ડ ક્લાઇમેટ ઍક્શન સમિટ દરમ્યાન યુએઈમાં ઇઝરાયલના પ્રેસિડન્ટ સાથે મુલાકાત કરી હતી. મોદીએ વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા ઇઝરાયલ અને પૅલે​સ્ટીનના વિવાદના કાયમી ઉકેલ માટે ભારતના સપોર્ટ પર ભાર મૂક્યો હતો. 
સાતમી ઑક્ટોબરના રોજ ઇઝરાયલ પર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તેમ જ બંધક બનાવાયેલા લોકો મુક્ત થયા હોવાની વાતને આવકારી હતી. પીએમ મોદી અને ઇસાક હરઝોગની આ મુલાકાત દરમ્યાન તેમણે બન્નેએ હાલ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.  

world news israel hamas