ચીનમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઇરસ, માણસોને સંક્રમિત કરી શકે

27 November, 2022 09:27 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

રિસર્ચર્સ અનુસાર આ વાઇરસ સરળતાથી માણસના શરીરમાં પ્રવેશી શકે છે અને મોટા પાયે વિનાશ વેરી શકે

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં કોરોનાની મહામારીની શરૂઆત ચીનથી જ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લગભગ સમગ્ર દુનિયામાં કોરોનાના કેસો ખૂબ જ ઘટી ગયા છે, પરંતુ ચીનમાં એનું પ્રમાણ વધ્યું છે. દરમ્યાનમાં કેટલાક સાયન્ટિસ્ટ્સે દાવો કર્યો છે કે દ​ક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાઇરસ મળ્યો છે, જે દર પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે. આ વાઇરસને BTSY2 નામ આપવામાં આવ્યું છે અને એ SAARS-COV-2ને સંબંધિત છે. ચીન અને સિડનીના રિસર્ચર્સ અનુસાર આ વાઇરસ સરળતાથી માણસ શરીરમાં પ્રવેશી શકે છે અને મોટા પાયે વિનાશ વેરી શકે છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં મળેલો એ વાઇરસ પાંચ ખતરનાક વાઇરસમાંથી એક છે કે જેનાથી માણસો અને પશુઓને અનેક પ્રકારની બીમારી થઈ શકે છે. એ સિવાય આ સાયન્ટિસ્ટ્સની ટીમે અનેક નવા સંભવિત પશુજન્ય રોગો વિશે પણ જાણકારી આપી છે કે જે પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે.

ચીનના શેન્ઝેનસ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્ડેમિક ડિસીસ કન્ટ્રોલ અને સિડની યુનિવર્સિટીના રિસર્ચર્સે આ રિસર્ચનું નેતૃત્વ કર્યું હતું. આ ટીમે જણાવ્યું હતું કે ‘અમે વાઇરસના પાંચ પ્રજાતિઓની ઓળખ કરી છે જે માણસો અને પશુઓેને બીમાર કરી શકે છે, જેમાંથી એક કોરોના વાઇરસ જેવો છે. આ નવા વાઇરસનો SAARS-COV-2 અને SAARS-COV બન્નેની સાથે નજીકનો સંબંધ છે.

આ સાયન્ટિસ્ટ્સે ચીનના યુનાન પ્રાંતની છ કાઉન્ટી કે શહેરોમાં ચામાચીડિયાની ૧૫ પ્રજાતિઓના ૧૪૯ ચામાચીડિયાનાં યુરિન સૅમ્પલ્સ લીધાં હતાં. ચામાચીડિયાના જીવિત કોશિકાઓમાં ન્યુક્લિક ઍસિડ (જેને આરએનએ કહેવામાં આવે છે) હોય છે, દરેક ચામાચીડિયામાંથી એ કાઢવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું હતું કે એક ચામાચીડિયાને એક સાથે અનેક વાઇરસ દ્વારા સંક્રમિત કરવામાં આવ્યું હતું.

international news china coronavirus covid19