13 July, 2026 12:17 PM IST | Bangkok | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બેંગકોકના પબમાં ભયાવહ અગ્નિકાંડ (Bangkok Pub Fire) થયો છે. ગોવા અને લખનઉમાં થયેલા અગ્નિકાંડ જેવો જ અગ્નિકાંડ બેંગકોકમાં થયો છે. જેમાં ૨૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર (Bangkok Pub Fire) સોમવારની વહેલી સવારે બેંગકોકમાં એક પબમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં અગ્નિશામકોએ આગ પર કાબૂ મેળવ્યો તે પહેલાં ૨૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ભયાવહ અગ્નિકાંડ વિષે ઓનલાઇન ફોટોઝ અને વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. ફૂટેજમાં થાઈ રાજધાનીના ઉત્તરીય ભાગમાંના Na Ladprao પબના આગળના દરવાજામાંથી પ્રચંડ આગ ફાટી નીકળી હોવાના દૃશ્ય જોવા મળે છે. મોટા પ્રમાણમાં અહીં ધુમાડો ફેલાઈ ગયો હતો. આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે લોકોમાં નાસભાગ પણ મચી હતી. રેસ્ક્યૂ કાર્યમાં જોડાયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે મોડી રાત્રે અમને અહીં આગ લાગી હોવાની માહિતી મળી હતી.
થાઇલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે ઘટનાસ્થળે જણાવ્યું હતું કે આ ભયાવહ દુર્ઘટનામાં ૨૭ લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ તપાસ હેઠળ છે. તેઓએ એમ જણાવ્યું હતું કે પબમાં પરફોર્મ કરી રહેલા એક સંગીતકારે તેમને કહ્યું હતું કે તેણે સ્ટેજ પાસે સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો જોયો હતો, પછી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને આખું પબ ઝડપથી ગાઢ ધુમાડાથી ભરાઈ ગયું હતું. તેમણે ઉમેર્યું હતું કે પીડિતોમાંથી ઘણાની ડેડબોડી પબની પાછળના ભાગે અને રેસ્ટરૂમમાંથી મળી આવી હતી. ઘણા પીડિતોને બહાર નીકળવાનો રસ્તો જ મળ્યો નહોતો. રેસ્ટરૂમમાંથી બળી ગયેલી હાલતમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા.
ફાયરબ્રિગેડને આગ પર કાબૂ (Bangkok Pub Fire) મેળવવામાં અડધો કલાકનો સમય લાગ્યો હતો. ત્યારપછીની તસવીરોમાં બળી ગયેલા ટેબલ અને ખુરશીઓ અને પબનો ક્ષતિગ્રસ્ત આંતરિક ભાગ જોવા મળે છે.
થાઈલેન્ડમાં ભૂતકાળમાં આવી જ કરૂણાંતિકાઓ જોવા મળી હતી. વર્ષ ૨૦૨૨માં દેશના પૂર્વ ભાગમાં એક મ્યુઝિક પબમાં આગ લાગવાથી ૧૪ લોકોના મોત થયા હતા. અને તેના એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાંની એક ઘટના અંગે વાત કરીએ તો થાઇલેન્ડની રાજધાનીમાં સાંતિકા નાઇટક્લબમાં ૧લી જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઉજવણી દરમિયાન લાગેલી આગમાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે આગ દેખીતી રીતે ઇન્ડોર ફટાકડાને લીધે ફાટી નીકળી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ગોવાના અર્પોરામાં બર્ચ બાય રેમિઓ લેન નામના નાઇટક્લબમાં આવો જ અગ્નિકાંડ (Bangkok Pub Fire) બન્યો હતો. ડાન્સપાર્ટી વખતે નાઇટક્લબમાં આગ લાગી હતી. આ આગ સ્ટેજ/કિચન એરિયામાં ઇલેક્ટ્રિસિટીને કારણે ફેલાઇ હતી. આગમાં ક્લબના કર્મચારીઓ અને કેટલાક પ્રવાસીઓ સહિત ૨૫ લોકોના મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ઘણા લોકો ગૂંગળામણને કારણે મોતને ભેટયા હતા.
ગયા મહિને લખનઉના અલીગંજ વિસ્તારમાં એક કોચિંગ સેન્ટર (એનિમેશન સ્ટુડિયો)ની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ ફેલાતા જ વિદ્યાર્થીઓ ધુમાડામાંથી બચવા માટે બિલ્ડિંગની પાછળના બાથરૂમ અને રૂમમાં છુપાઈ ગયા હતા અને કેટલાકે બારીઓમાંથી કૂદી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અગ્નિકાંડમાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા.