28 January, 2016 06:50 AM IST |
લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા
ભાંગરો તરીકે જાણીતી વનસ્પતિનો માથામાં નાખવાના તેલમાં ઉપયોગ કરવામાં આવે છે, જે મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્યપ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. આજે જાણીએ ભૃંગરાજ કે ભાંગરો કેવી રીતે મદદરૂપ થાય છે.
કદાચ જાણીને નવાઈ લાગે કે ત્વચાના નિષ્ણાત પણ ભાંગરામાંથી બનેલી દવાની સલાહ આપે છે. કૉસ્મેટો-ડર્મેટોલૉજિસ્ટ ડૉ. માધુરી અગ્રવાલ જણાવે છે, ‘ઘણા ત્વચાનિષ્ણાતને ભાંગરા વિશે ખબર નથી હોતી. મારી પાસે નિષ્ણાતોના હાથ હેઠળ બનાવેલાં ભાંગરાનાં સપ્લિમેન્ટ્સ ઉપલબ્ધ છે. હું જરૂર પડ્યે વ્યક્તિને એ લેવાનું સૂચન આપતી હોઉં છું. અમારા ક્ષેત્રમાં ભાંગરાયુક્ત પ્રોડક્ટ પણ ઓછી વપરાય છે.’
એથી જ જે લોકો આધુનિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તેમને કદાચ આ ગુણવર્ધક વનસ્પતિ વિશે જાણકારી નથી. આ વનસ્પતિનો કેવી રીતે ઉપયોગ કરાય એ જણાવી રહ્યા છે આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી. તેમના મત મુજબ ભાંગરાનો મૂળ ઉપયોગ વાળ માટે છે. વાળની દરેક પ્રકારની સમસ્યા ભાંગરાથી દૂર થાય છે.
વાળ અને ભાંગરો
નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર થઈ શકે છે. એનો ઉપયોગ કરવાની રીત જાણી લો. ભાંગરાનું શુ¢ તેલ વાળના સ્કૅલ્પ પર લગાવવું. વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં એ મદદરૂપ થાય છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે. વાળના સફેદ થવાના સમયને લંબાવે છે. જેવી રીતે કોઈ શૅમ્પૂની જાહેરાત જોઈને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવાનું મન થઈ જાય તો આ તો શૅમ્પૂ કરતાં સારો અને કુદરતી ઉપાય છે. હા, ભાંગરો વાળને મુલાયમ અને નરમ બનાવે છે. વાળની શુષ્કતા દૂર કરે છે.
એ સિવાય ભાંગરાને આમળાં, શિકાકાઈ કે શંખપુષ્પી વનસ્પતિ સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય. એનાથી સ્કૅલ્પનાં બંધ થઈ ગયેલાં છિદ્રો ખૂલશે અને એને ઑક્સિજન મળશે, જેથી વાળના વિકાસની પ્રક્રિયાને વેગ મળશે.
ભાંગરો ખાદ્ય વનસ્પતિ
દક્ષિણના લોકોના વાળ બહુ જ લાંબા, તંદુરસ્ત, કાળા અને સુંદર હોય છે. એમાં ઘણાં પરિબળો જવાબદાર છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જેવી રીતે પાલક અને દાળ ખાઈએ છીએ એવી જ રીતે દક્ષિણમાં લોકો ભાંગરો અને દાળ ખાય છે. ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે. ભાંગરો હેલ્થ ટૉનિક
તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.
ત્વચામાં ભાંગરો
ભાંગરો ત્વચા માટે પણ ફાયદાકારક છે. કેવી રીતે એ જાણો. ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સાથે મિક્સ કરવું. આ પાણીથી નાહવાથી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવાથી નિખાર તો આવે જ છે અને સાથે ખીલના ડાઘ કે કથ્થઈ રંગના ડાઘ પણ દૂર થાય છે. ડીકલરેશનની સમસ્યામાંથી જે પસાર થઈ રહ્યા છે તેમના માટે તો ભાંગરાનો લેપ કે ઘી ઉત્તમ છે. ડીકલરેશન એટલે ત્વચાના રંગમાં જ વિવિધતા દેખાય. જેમ કે તમે દરરોજ ઘડિયાળ પહેરો છો તો ઘડિયાળના છાયા નીચેની ત્વચા અન્ય ત્વચા કરતાં ગોરી હોય છે. એથી ઘડિયાળ વગર હાથ પર જાણે કોઈ રોગ થયો હોય એવી રીતે ભેદ દેખાશે. તો આવા ડીકલરેશનને દૂર કરવામાં ભાંગરો આર્શીવાદ સમાન છે.
ઘીમાં ભાંગરો નાખીને એને ઉકાળવું. જ્યારે ભાંગરાનો રસ ઘીમાં ભળી જાય ત્યારે ગૅસ બંધ કરી દેવો. આ ઘીને તમે સૌંદર્યપ્રસાધન તરીકે વાપરી શકો છો. આવી જ રીતે માથામાં નાખવાનું તેલ પણ બનાવી શકાય છે.
ડૉ. મહેશ સંઘવી એકદમ સાદી ટિપ્સ આપી રહ્યા છે. શુષ્ક ત્વચા હોય તો ભાંગરાના પાઉડરને મલાઈ સાથે અને ઑઇલી ત્વચા હોય તો કાકડીના રસ સાથે ãમક્સ કરીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટ કે લેપનો ઉપયોગ ચહેરા પર કરી શકાય છે. મધ અને ઘી ભાંગરાના પાઉડરમાં મિક્સ કરીને પગની પાનીમાં પડેલા ચીરામાં લગાવી શકાય છે. એનાથી ત્વચાને પોષણ મળશે અને કુમાશ આવશે.
આંખોમાં ભાંગરો
ઘીનું આંજણ બનાવીને લગાવવાથી આંખોની દૃષ્ટિ તેજ થાય છે તેમ જ ઝામર કે મોતિયાથી આંખોને લાંબા સમય સુધી બચાવી શકાય છે. આંજણમાં ભાંગરાનું ઘી મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. ડૉ. મહેશ સંઘવી ભાર મૂકીને કહે છે કે કોઈ પણ ઔષધિ ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ વગર લેવી નહીં.