શાહિદ-રણવીર રામ-લખન?

25 April, 2016 04:23 AM IST  | 

શાહિદ-રણવીર રામ-લખન?


ગૌરવ દુબે

જૅકી શ્રોફ અને અનિલ કપૂરની ૧૯૮૯માં આવેલી ‘રામ લખન’ની રીમેક બનવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આ ફિલ્મમાં કોને લેવામાં આવશે એ વિશે ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી અનિલ કપૂરના લખનના પાત્ર માટે વરુણ ધવન, અજુર્ન કપૂર અને રણવીર સિંહનાં નામ ચર્ચામાં હતાં તો જૅકી શ્રોફના રામના પાત્ર માટે હૃતિક રોશન, રણબીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં નામની ચર્ચા ચાલી રહી હતી. આ વિશે જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘આ ફિલ્મ માટે રામના પાત્ર માટે શાહિદ કપૂર અને લખનના પાત્ર માટે રણવીર સિંહને પસંદ કરવામાં આવ્યા છે. લખન માટે ઘણાં બધાં નામની ચર્ચા હતી જે માટે રણવીર પહેલી પસંદ હતી. અનિલ કપૂરે પણ પોતે તેના પાત્ર માટે રણવીરનું નામ આપ્યું હતું, જ્યાં સુધી રામની વાત છે ત્યાં સુધી શાહિદ આ પાત્ર માટે બેસ્ટ છે એવું નક્કી કરવામાં આવ્યું છે. જોકે હજી સુધી કોઈએ આ ફિલ્મને સાઇન નથી કરી. માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયાના પાત્ર માટે નવા ચહેરાની શોધ ચાલી રહી છે. એક વાર તમામ ઍક્ટર આ ફિલ્મને સાઇન કરી લેશે ત્યાર બાદ તેની જાહેરાત કરવામાં આવશે.’

આ ફિલ્મને ડિરેક્ટ કરી રહેલા રોહિત શેટ્ટીનો આ વિશે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું હજી મારી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું. હજી સુધી કંઈ ફાઇનલ કરવામાં નથી આવ્યું.’