07 February, 2019 10:09 AM IST | | મનોજ નવનીત જોષી
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ચાણક્યની સાત સ્ટ્રૅટેજીની વાત કરીએ છીએ ત્યારે ચાણક્યની ચોથી સ્ટ્રૅટેજી પહેલાં આ વાત સમજવી ખૂબ જરૂરી છે. એક વખત ફાસ્ટ-રીકૅપમાં આપણે અગાઉની ત્રણ સ્ટ્રૅટેજી જાણી લઈએ. હરીફને તેના નબળા ક્ષેત્રમાં હરાવીને તેને અપસેટ કરો. આ કામ ચાણક્યએ મગધના ખૂણાઓ પર હુમલો કરીને કર્યું હતું. બીજી સ્ટ્રૅટેજી. હરીફને, પ્રતિસ્પર્ધીઓની નબળાઈઓને વિકસવા દો અને એના માટે સામે ચાલીને ગોઠવણ કરવી પડે તો એ પણ કરી આપો. ચાણક્યએ મગધ સલ્તનતમાં આવેલા અન્ય રાજાઓની નબળાઈ એવી કન્યાઓના રૂપમાં વિષકન્યાઓ મોકલીને એ રાજાઓને હસ્તગત કરી લીધા. ત્રીજી સ્ટ્રૅટેજી. હરીફની નાનામાં નાની વાતથી જાણકાર રહો. ક્યારે કઈ માહિતી કેટલી ઉપયોગી બની જાય એની કલ્પના પણ નહીં કરી શકો. ચાણક્યએ આ કામ કરવા માટે જાસૂસોની સેના બનાવી અને એ જાસૂસો ડબલ ક્રૉસ ન કરે એ માટે જાસૂસો પર પણ જાસૂસો મૂક્યા, જે તેમના વિશ્વાસુ હતા.
હવે વાત ચોથી સ્ટ્રૅટેજીની કે તૈયારીની. ચાણક્યએ પોતાની સેના તૈયાર કરવાનું શરૂ કર્યું. આ સેના હકીકતમાં તો ચંદ્રગુપ્ત મૌર્ય માટે કામ કરવાની હતી, પણ એ સેના તૈયાર કરવાનું કામ ચાણક્ય દ્વારા થયું. ચાણક્ય માટે અગાઉ તમને કહ્યું છે કે કદાચ તે પહેલા એવા પ્રધાન હતા જે માત્ર પ્રધાન જ નહોતા પણ અનેક અન્ય ખાતાંઓ પણ જોતા હતા. સેના બનાવવાનું કામ અત્યારે ગૃહપ્રધાન કરતા હોય છે. જાસૂસ તૈયાર કરવાનું કામ પણ એ જ કરતા હોય છે. આ દૃષ્ટિકોણથી ચાણક્યએ ગૃહપ્રધાન બનીને કામ પણ કર્યું અને સ્ટ્રૅટેજી તૈયાર કરવાનું કામ કરીને એ પણ પુરવાર કર્યું કે તે વડા પ્રધાનના ચીફ સેક્રેટરી પણ છે.
સેના બનાવતી વખતે ચાણક્યએ એકથી એક ચડિયાતા સાથીઓને ભરવાનું કામ કર્યું. જોકે આ કામ કરતાં પહેલાં ચાણક્યએ બીજું એક કામ એ પણ કર્યું કે તેમણે ચંદ્રગુપ્ત મૌર્યની નબળાઈઓ જોઈ લીધી. યાદ રહે, ક્યારેય કોઈ સર્વાંગી સંપૂર્ણ નથી હોતું અને એવું હોઈ પણ ન શકે. બત્રીસલક્ષણાની વાતો માત્ર શાસ્ત્રોમાં હોય છે અને તેઓ એ જ સમયમાં જન્મતા હતા જે સમયે શાસ્ત્રો લખાતાં હતાં. ત્યાર પછી જે કોઈ બન્યા એ નાયક બન્યા અને નાયકની સૌથી પહેલી ખાસિયત એ છે કે તેનામાં બત્રીસલક્ષણ ન હોય તો કંઈ નહીં પણ તેની આખી સેનાનો સરવાળો પેલા બત્રીસલક્ષણા કરતાં અનેકગણો હોય.
આ પણ વાંચો : ડબલ લેયર : જાસૂસો તૈયાર કરવાની સાથે ચાણક્યએ જાસૂસો પર પણ જાસૂસો ગોઠવ્યા
આ કામ ચંદ્રગુપ્ત મૌર્ય વતી ચાણક્યએ કર્યું અને ચંદ્રગુપ્ત મૌર્યની જે કોઈ નબળાઈઓ હતી એ તમામ નબળાઈઓથી પર કહેવાય એવા પાવરધા લોકોને પોતાની સેનામાં સામેલ કરવાનું શરૂ કર્યું. આછીપાતળી સેના તો ચાણક્ય પાસે હતી જ, પણ એ સેનાનો રણમેદાનમાં દોરીસંચાર કરી શકે એવા લીડર ઊભા કરવાના હતા અને એ ઊભા કરવાનું કામ કરતાં પહેલાં ચાણક્યએ એક નેતામાં કેવા ગુણ હોવા જોઈએ એનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, જે અભ્યાસની વિગતો જાણીશું આવતી કાલે.