ટર્કીએ ભારતીય ઘઉંનો ઑનલાઇન ૫૦,૦૦૦ ટનનો ઑર્ડર આપ્યો

13 May, 2022 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉર્ડનમાં પણ ભારતીય ઘઉંની જ ૬૦,૦૦૦ ટનની નિકાસનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઘઉંની ટર્કીએ આયાત છૂટ આપ્યા બાદ તેમણે ભારતમાંથી પહેલી વાર ઑનલાઇન મોટો ઑર્ડર આપ્યો છે. આ અગાઉ ડાયરેક્ટ વેપારો થઈ ચૂક્યા છે અને એની શિપમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. ભારતની ઑનલાઇન માર્કેટ પ્લેસ ધરાવતી કંપની ઍગ્રીબાઝારને ટર્કીથી ૫૦,૦૦૦ ટન ઘઉંની નિકાસ કરવા માટેનો ઑર્ડર મળ્યો છે અને આ કંપનીએ એની સત્તાવાર રીતે પુષ્ઠિ પણ આપી છે. યુક્રેન-રશિયાની કટોકટીને પગલે ભારતીય ઘઉંની માગ સતત વધી રહી છે. આ બે મોટા સોદાને પગલે ગુજરાતમાં નિકાસબર ઘઉંના ભાવમાં ગુરુવારે ૨૦થી ૩૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

ઍગ્રીબાઝારના સીઈઓ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતને આ ઑનલાઇન પહેલી ડીલ મળી છે અને જેની વૅલ્યુ ૧૨૫ કરોડ રૂપિયા જેવી થાય છે. આ ઘઉંની નિકાસ દેશનાં અનેક રાજ્યોમાંથી ખરીદી કરેલા ઘઉંમાંથી કરવામાં આવશે.

દરમિયાન જૉર્ડનના સરકારી મંત્રાલયના ૬૦,૦૦૦ ટનના ઘઉંના ટેન્ડરમાં સ્વિસ સિંગાપોરે સૌથી નીચા ભાવની બીડ ભરી છે અને આ કંપનીએ ૪૩૬ ડૉલર પ્રતિ ટનના ભાવ ભર્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્વિસ સિંગાપોર આ ટેન્ડરમાં ભારતીય ઘઉંની જ નિકાસ કરે એવી પૂરી સંભાવના છે. આ કંપની ભારતમાં સીઝનની શરૂઆતથી ખરીદી કરે છે અને સરેરાશ એની પાસે પૂરતો સ્ટૉક પણ પડ્યો છે. ઍગ્રીબિઝનેસ કો-ઑપરેટિવ દ્વારા આ જ ટેન્ડરમાં ૪૮૭.૧૩ ડૉલર પ્રતિ ટનની બીડ ભરવામાં આવી હતી.

દિલ્હીના એક નિકાસકારે જણાવ્યું હતું કે આ કંપની જૉર્ડનમાં ભારતીય ઘઉંની નિકાસ કરશે. ચાલુ સપ્તાહ દરમિયાન ઘઉંની નિકાસ માટે અનેક વેપારો થયા છે અને બજારમાં માગ પણ સારી હોવાથી નૉન સ્ટૉપ ઘઉંના ભાવમાં ૫૦ રૂપિયાથી પણ વધુનો ઉછાળો આવી ગયો છે. ઘઉંમાં હવે ઓછા ઉત્પાદનના અંદાજ અને સરકારી ગોડાઉનમાં પણ સ્ટૉક નીચો હોવાના સમાચારથી ઘઉંના ભાવ સતત વધતા રહે એવી ધારણા છે.

ગુજરાતના વેપારીઓ કહે છે કે ગાંધીધામ ડિલિવરીના ભાવ ટૂંકમાં ૨૬૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચે એવી ધારણા છે, જે ગુરુવારે ૨૫૫૦ રૂપિયા સુધી ક્વોટ થતા હતા.

business news