08 March, 2023 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
એસબીઆઇના એક સંશોધન અહેવાલે એવી દલીલને ફગાવી દીધી છે કે ભારત હિન્દુ વૃદ્ધિ દરની ખતરનાક રીતે નજીક છે અને તાજેતરના જીડીપી નંબર અને બચત તથા રોકાણ પરના ઉપલબ્ધ ડેટાને પગલે આવાં નિવેદનો ‘ભ્રષ્ટ કલ્પના, પક્ષપાતી અને પ્રી-મૅચ્યોર’ છે.
ઘોંઘાટવાળા ત્રિમાસિક આંકડાઓ પર આધારિત જીડીપી વૃદ્ધિનું અર્થઘટન એ ધુમાડા તથા અરીસાની રમત છે એમ એસબીઆઇના અહેવાલ ‘ઇકોરૅપ’એ જણાવ્યું હતું.
રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે ખાનગી ક્ષેત્રનાં રોકાણ, ઊંચા વ્યાજ દર અને વૈશ્વિક વૃદ્ધિ ધીમી હોવાને કારણે ભારત વિકાસના હિન્દુ દરની ખતરનાક રીતે નજીક છે એના થોડા દિવસોની અંદર આ અહેવાલ આવ્યો છે.
રાજને જણાવ્યું કે ગયા મહિને નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા રાષ્ટ્રીય આવકના તાજેતરના અંદાજ દ્વારા જાહેર કરાયેલી ત્રિમાસિક વૃદ્ધિમાં ક્રમિક મંદી ચિંતાજનક હતી. હિન્દુ વૃદ્ધિ દર એ ૧૯૫૦થી ૧૯૮૦ના દાયકા સુધીના નીચા ભારતીય આર્થિક વિકાસ દરને વર્ણવતો શબ્દ છે, જે સરેરાશ ૩.૫ ટકા હતો. આ શબ્દ ૧૯૭૮માં ભારતીય અર્થશાસ્ત્રી રાજ કૃષ્ણ દ્વારા ધીમી વૃદ્ધિને વર્ણવવા માટે બનાવવામાં આવ્યો હતો.