RRPRH બોર્ડમાં અદાણી ગ્રુપની એન્ટ્રી બાદ પ્રણય રોય અને રાધિકા રોયએ આપ્યું રાજીનામું

30 November, 2022 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરઆરપીઆરએચ હોલ્ડિંગે સ્ટોક એક્સચેન્જને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે શૅરના ટ્રાન્સફરથી અદાણી જૂથને એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો મળશે

ફાઇલ તસવીર

NDTVને હસ્તગત કરવાની અદાણી ગ્રુપની ખુલ્લી ઑફર વચ્ચે NDTVના ડિરેક્ટર્સ પ્રણય રોય (Pranay Roy) અને રાધિકા રોયે (Radhika Roy) RRPRHમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. NDTV લિમિટેડે મંગળવારે સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. બંનેના રાજીનામા તાત્કાલિક અસરથી અમલમાં આવશે. સુદિપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સંથિલ સમિયા ચંગલવારાયણને તાત્કાલિક અસરથી RPRHના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

આરઆરપીઆરએચ હોલ્ડિંગે સ્ટોક એક્સચેન્જને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે શૅરના ટ્રાન્સફરથી અદાણી જૂથને એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો મળશે. આ સાથે, અદાણી જૂથ 5 ડિસેમ્બરે વધારાના 26 ટકા હિસ્સા માટે ઑપન ઑફર પણ કરી રહ્યું છે.

ઑગસ્ટમાં અદાણી ગ્રુપે આડકતરી રીતે મીડિયા ફર્મમાં 29.18 ટકા હિસ્સો ખરીદ્યા પછી ઑપન ઑફર રાખવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ઑપન ઑફરને ભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટર દ્વારા આ મહિનાની શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી. કંપનીમાં અદાણીના રસ બાદ NDTVના શૅરમાં વધારો થયો છે. કંપનીના શૅર આ વર્ષે લગભગ 250 ટકા ઉપર છે.

અદાણી ગ્રુપે NDTV પ્રમોટર RRPRH પ્રાઈવેટ લિમિટેડમાં 99.5 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. અદાણી ગ્રુપે 2009 અને 2010માં NDTVના બિઝનેસ પ્રમોટર RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડને રૂા. 403.85 કરોડનું ધિરાણ કર્યું હતું. તેના બદલામાં એનડીટીવીમાં કોઈપણ સમયે ધિરાણકર્તા પાસેથી 29.18 ટકા હિસ્સો લેવાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે અવસાન

business news gautam adani