18 June, 2022 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જીએસટી દર તર્કસંગતતા પર રાજ્ય પ્રધાનોની પેનલ ગઈ કાલે સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ ગઈ કારણ કે કેટલાક સભ્યોએ ટૅક્સ સ્લેબ અને દરોમાં ફેરફારનો વિરોધ કર્યો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રધાનઓનું જૂથ, જોકે, જીએસટી કાઉન્સિલને સર્વસંમતિ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. પેનલ તેનો અંતિમ અહેવાલ સબમિટ કરવા માટે એક્સ્ટેન્શન માગશે. કાઉન્સિલની આગામી બેઠક ૨૮-૨૯ જૂને શ્રીનગરમાં મળવાની છે જેમાં આ મુદ્દો ચર્ચાશે.
દેશના ફૉરેન એક્સચેન્જ રિઝર્વમાં ૧૦ જૂને પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ૪.૫૯૯ અબજ ડૉલરનો ઘટાડો થઈને ૫૯૬.૪૫૮ અબજ ડૉલરનો થયો છે, જે અગાઉના સપ્તાહ દરમ્યાન ૩૦૬૦ લાખ ડૉલર વધ્યું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ફૉરેન કરન્સી ઍસેટમાં ૪.૫૩૫ અબજ ડૉલરનો ઘટાડો થઈને ૫૩૨.૨૪૪ અબજ ડૉલર અને ગોલ્ડ રિઝર્વમાં ૧૦ લાખ ડૉલરનો ઘટાડો થઈને ૪૦.૮૪૨ અબજ ડૉલરનું થયું છે.
નૉન-લાઇફ ઇન્શ્યૉરન્સ કંપનીઓએ આ વર્ષે મે મહિનામાં સામૂહિક ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમમાં વાર્ષિક ધોરણે ૨૪ ટકાનો વધારો થઈને ૧૫૪૦૪.૪૫ કરોડનું નોંધાવ્યું છે એમ નિયમનકાર ઇરડાઇએ જણાવ્યું હતું. ગયા વર્ષે આ જ મહિનામાં ૧૨,૪૨૩.૯૮ કરોડનું કુલ ડાયરેક્ટ પ્રીમિયમ આવ્યું હતું.
૩૧ નૉન-લાઇફ કંપનીમાંથી ૨૫ સામાન્ય વીમા કંપનીઓએ મે ૨૦૨૨માં ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમમાં ૨૪ ટકાનો વધારો કરીને ૧૩,૫૬૬.૧૮ કરોડ નોંધાવ્યું હતું, જે ગયા વર્ષે ૧૦૯૫૪.૧૮ કરોડ હતું.
પાંચ સ્ટૅન્ડઅલોન ખાનગી ક્ષેત્રની આરોગ્ય વીમા કંપનીઓએ મહિના દરમ્યાન ગ્રોસ પ્રીમિયમમાં ૧૩૮૨.૭૧ કરોડ રૂપિયાની સામે ૧૭૦૮.૮૬ કરોડ રૂપિયાનું પ્રીમિયમ નોંધાવ્યું છે, જે ૨૩.૬ ટકાનો વધારો બતાવે છે.
આ સર્વિસ શરૂ કરવાનો હેતુ લાખો નોકરી પેદા કરવાનો છે : ચૅરમૅન
નૅશનલ ટૂરિઝમ ઍન્ડ ટ્રાન્સપોર્ટ કો-ઑપરેટિવ ફેડરેશન લિમિટેડ (એનએફટીસી) ટૂંક સમયમાં ઓલા અને ઉબરની જેમ જ નવી પરિવહન સર્વિસ ‘સહકાર ટૅક્સી’ શરૂ કરશે, જેનો હેતુ લાખો નોકરીઓ પેદા કરવાનો છે.
કંપનીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એનએફટીસી આ ઉપરાંત પ્રવાસ અને પ્રવાસન દ્વારા કુરિયર સર્વિસ તેમ જ રાજ્યોના પરિવહન ડેપો સાથે સહકારી કુરિયર સર્વિસ પણ શરૂ કરશે.
નિવેદન અનુસાર કંપનીએ દિલ્હી-એનસીઆર (નૅશનલ કૅપિટલ રીજન)માં એક નવી સેન્ટ્રલ બોર્ડ ઑફિસ અને એક યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે. આ નવા સેટ-અપનું ઉદ્ઘાટન આરએસએસના પ્રકલ્પ સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. એન. ઠાકુરે કર્યું હતું.
કંપનીના ચૅરમૅન વીવીપી નાયરે નિવેદનમાં કહ્યું કે આજે અમે ઓલા અને ઉબરની માફક આગામી એક વર્ષમાં લાખો લોકોને રોજગાર આપવા જઈ રહ્યા છીએ.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જાહેર ક્ષેત્રની બૅન્કોના વડાઓને મળવા માટે ધિરાણકર્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને અર્થતંત્રના પુનરુત્થાન માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ પર તેમના દ્વારા કરવામાં આવેલી પ્રગતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી છે. બજેટ ૨૦૨૨-’૨૩ની રજૂઆત બાદ આ પ્રથમ સમીક્ષા બેઠક છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અર્થતંત્રના પુનરુત્થાનને વેગ આપવા માટે બૅન્કોને ઉત્પાદક ક્ષેત્રો માટે લોન મંજૂર કરવા વિનંતી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે મોંઘવારી દરને કાબૂમાં રાખવા માટે ખાંડની નિકાસ પર ચાલુ વર્ષે તો જથ્થાકીય મર્યાદા બાંધી છે, પરંતુ ઑક્ટોબર મહિનાથી શરૂ થનારી નવી સીઝનમાં પણ આવી જ મર્યાદા બાંધે એવી સંભાવના છે. જોકે જથ્થો આ વર્ષથી ૩૦થી ૪૦ લાખ ટન ઓછો મંજૂર કરે એવી સંભાવના છે.
કેન્દ્ર સરકાર દેશમાં પુરવઠો પૂરતો રહે અને સ્થાનિક ભાવ પણ નિયંત્રણમાં રહે એ હેતુસર સતત બીજા વર્ષે નિયંત્રણો લગાવવાની વિચારણા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર પહેલી ઑક્ટોબરથી શરૂ થનારી ખાંડની સીઝન ૨૦૨૨-’૨૩ માટે કુલ ૬૦થી ૭૦ લાખ ટન ખાંડની જ છૂટ આપે એવી સંભાવના છે, જે ચાલુ વર્ષે કુલ ૧૦૦ લાખ ટનની નિકાસ થશે, જેની તુલનાએ ૩૦ લાખ ટન જેટલી ઓછી છે.
ખાંડમાં નિકાસ પર જો નિયંત્રણો મૂકવામાં આવશે તો વૈશ્વિક સફેદ ખાંડના ભાવ જે પહેલાંથી સાડાપાંચ વર્ષની ઊંચી સપાટી નજીક છે એમાં વધારો થશે. ભારત વિશ્વનો બ્રાઝિલ બાદનો બીજા નંબરનો સૌથી મોટો ખાંડનો નિકાસકાર દેશ છે.
ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઇસ્મા)ના પ્રમુખ આદિત્ય ઝુનઝુનવાલાએ કેન્દ્ર સરકારને નવી સીઝનમાં કુલ ૮૦ લાખ ટન ખાંડની નિકાસછૂટ આપવાની માગણી કરી છે, કારણ કે ચાલુ વર્ષમાં ઉત્પાદન વધીને ૩૬૦ લાખ ટને પહોંચવાનું છે. ઇસ્માએ નિકાસ ક્વોટાનો નિર્ણય વહેલી તકે લેવા માટે પણ સરકારને રજૂઆત કરી છે.
વર્તમાન સીઝન દરમ્યાન બ્રાઝિલનું ખાંડનું ઉત્પાદન વધવાનું છે, પરંતુ ભારતમાંથી પ્રતિબંધિત નિકાસને કારણે વેપારીઓને ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા નથી અને એના બદલે એ વધુ જઈ શકે છે એવી આશા રાખે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી સીઝનની નિકાસ મર્યાદા ૬૦ અને ૭૦ લાખ ટન વચ્ચે નક્કી થવાની ધારણા છે, ત્યારે ચોક્કસ જથ્થો સીઝનની શરૂઆતમાં નક્કી કરવામાં આવશે. ક્વોટા નક્કી કરતાં પહેલાં સરકાર ચોમાસાની કામગીરીને જોશે, એમ તેઓએ ઉમેર્યું.