25 September, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોવિડ19 મહામારીનું નામ યાદ આવતાં જ મનમાં ધ્રુજારી છૂટી જાય છે. આપણા દરેકનાં મનમાં કોવિડના સમયની કોઈ ને કોઈ યાદ તો કોરાઈ ગઈ છે. આ મહામારીએ આપણને ઘણું બધું શીખવ્યું છે. અગાઉ જેની આપણે અવગણના કરતા હતા એવી જીવનની સરળ વસ્તુઓનું મૂલ્ય કરતાં આ મહામારીએ આપણને શીખવ્યું છે, જેમ કે નજીકના ઉદ્યાનમાં ટહેલવું, સવારના યોગના સત્ર લેવા, પરિવારજનો સાથે સમય વિતાવવો, ઉત્સવોની ઉજવણી કરવી વગેરે. અમારી નજીકમાં જ એક ઉદ્યાન છે જ્યાં ઘણા લોકો આવે છે. ત્યાં એક હાસ્ય ક્લબ પણ છે, જેમાં ઘણા નવયુવાનો તથા વૃદ્ધો દરરોજ સવારે મળીને પોતાની તાણ-મુક્તિ માટે હસે છે. કેટલીયે વાર, હાસ્ય ક્લબનાં સત્રો અંગત અનુભવો વહેંચવા માટેનું એક માધ્યમ બની જાય છે. આ ક્લબ એના સભ્યો માટે એક નાનું વિશ્વ બની જાય છે. આવા એક દિવસે એક વૃદ્ધ સજ્જનને પોતાની જીવનયાત્રા શૅર કરવાનું કહેવામાં આવ્યું.
આપણાં શાસ્ત્રો એક વ્યક્તિના જીવનના ચાર તબક્કા વિશે વાત કરે છે. આ છે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. વ્યક્તિ આ દરેક તબક્કે સંપૂર્ણ રીતે આનંદીત રહે તો જીવન ખૂબ સરળ બની રહે છે. તેમણે નાના શહેરમાં અભ્યાસ કરવાના તેમના અનુભવો શૅર કર્યા અને આગળના અભ્યાસ માટે મુંબઈ સ્થળાંતર કર્યું અને આખરે આજીવિકા માટે મુંબઈમાં સ્થાયી થયા. દરેકના જીવનમાં ઉતાર-ચડાવ આવતા હોય છે, પરંતુ આપણે સારા અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ખરાબ અનુભવો પરથી શીખવું જોઈએ. હાલના રિટાયરમેન્ટ પછીના જીવન વિશેના એમના અનુભવોએ અમને સૌને વિચારતા કરી મૂક્યા. નિવૃત્તિનો તબક્કો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ સાથે સંબંધિત છે. પ્રથમ તબક્કામાં આવનાર પેઢીના હાથમાં વ્યક્તિગત તથા વ્યાવસાઈક બાબતોની કમાન સોંપવાની શરૂઆત થાય છે. બાદના તબક્કે વ્યક્તિ ગૃહત્યાગ કરીને સંન્યાસી જીવન અપનાવે છે. જોકે વર્તમાન સમયમાં આવું શક્ય નથી થતું, પરંતુ આપણે આ આદર્શ થોડેઘણે અંશે અમલમાં મૂકી શકીએ.
એમનો અનુભવ વધુ શૅર કરતાં તેમણે કહ્યું કે નિવૃત્તિના ગાળા દરમ્યાન એક વ્યક્તિ ન કેવળ આર્થિક રીતે બદલાવ અનુભવે છે, પરંતુ લાગણીઓ પણ આ ગાળા દરમ્યાન બદલાય છે. તેઓ કહે છે, ‘હું હવે મણિ સર અથવા શ્રી મણિ, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રહીશ નહીં. હું ફક્ત શ્રી મણિ જ બનીને રહીશ અને આ સૌથી મોટો બદલાવ છે. ભાવનાત્મક રૂપે દરેકે આ પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
આપણા બધાનું માનવું છે કે જો આપણે આર્થિક મોરચો સાંભળી લઈએ તો નિવૃત્તિગાળો આરામથી વિતાવી શકીશું. આ હકીકત તો છે જ, પરંતુ નિવૃત્તિગાળો શાંતિમય વીતી શકે એ માટે આપણે ભાવનાત્મક પરિવર્તનોને પણ અપનાવવા પડશે. આખો સમય કામમાં રત રહેવાની આદત પછી અચાનક જ કોઈ જ કામ ન રહેવાથી માણસની માનસિક અવસ્થા પર અસર પડી શકે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.
૧. રિટાયરમેન્ટ માટે પૂર્વતૈયારી કરો : નિવૃત્તિ આવે એ સમય પહેલાં જ નિવૃત્તિ માટે માનસિક રીતે તમારી જાતને તૈયાર કરો. આમાં ધીમે-ધીમે કામના કલાકો ઘટાડવા, આગામી પેઢીને નિર્ણયો લેવા દેવા વગેરેનો સમાવેશ થાય છે.
૨. સમયપત્રકને અનુસરો : રિટાયરમેન્ટ પછી જેની સૌથી વધુ ખોટ સાલે છે એ છે નિયમિતતા. એક નિશ્ચિત દિનચર્યાના અભાવને કારણે એક અજાણ્યો ભય લાગે છે. આપણી આખી જિંદગી, શાળાજીવન, કૉલેજજીવન, ઑફિસ વગેરે સમયગાળામાં આપણે એક નિયમિત દિનચર્યામાં પરોવાયેલા હતા. રિટાયરમેન્ટના સમયગાળામાં અચાનક જ આપણી પાસે ઘણો બધો ફાજલ સમય આવી મળે છે. આવે વખતે પોતાનું મહત્ત્વ ઓછું અંકાતું હોય એવું લાગ્યા કરે છે. આવી ભાવનાઓ તમને ઘેરી ન વળે એનું ધ્યાન રાખો.
૩. તમારી જાતને પ્રવૃત્તિમાં રોકાયેલી રાખો : કોઈ જગ્યાએ સેવા આપો, કસરત કરો, તમારા જે કોઈ શોખ હોય એની પાછળ સમય વિતાવો, પ્રવાસ કરો. જે તમને ગમતી હોય એવી પ્રવૃત્તિઓમાં તમારો સમય ગાળો. આ પ્રવૃત્તિઓને માણો. યોગ્ય લાગે તો એક નવી કારકિર્દી પણ શરૂ કરી શકાય. હું એવા ઘણા લોકોને જાણું છું, જેમણે નિવૃત્તિ બાદ નાનો બિઝનેસ શરૂ કર્યો હોય.
૪. આગામી પેઢીનું માર્ગદર્શન કરો: આ તો હકીકતમાં વહેલું જ શરૂ થવું જોઈએ, પરંતુ આપણે માનવો નિયંત્રણ કરવામાં માનીએ છીએ. વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. આગામી પેઢીને જવાબદારીઓ સોંપવાનું શરૂ કરો. એમને ઘર માટે, નાણાકીય બાબતો માટે નિર્ણયો લેવા દો. જ્યારે તેઓ ભૂલો કરે ત્યારે એમને સ્પોર્ટ કરો. તમારા પરિવારને તમારાં રોકાણો વિશે અવગત કરો.
- ફોરમ શાહ