27 August, 2026 04:23 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent
મોહન ભાગવત અને ઝોહરાન મામદાની
અમેરિકાના ન્યૂયૉર્કમાં 29 ઑગસ્ટના રોજ યોજાનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના કાર્યક્રમ અંગે રાજકીય અને સામાજિક ચર્ચા તીવ્ર બની છે. ન્યૂયૉર્કના મેયર ઝોહરાન મામદાનીના આ કાર્યક્રમને વિરોધ બાદ, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સુરક્ષાને લઈ એક એડવાઇઝરી જાહેર કરી છે. ગુરુવારે એક નિવેદનમાં, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે ન્યૂયૉર્કના મેયરે શહેરના તમામ રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શપથ લીધા છે. સંગઠને ઉમેર્યું હતું કે આમાં મોહન ભાગવતના કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોનો પણ સમાવેશ થાય છે.
2003માં વૉશિંગ્ટનમાં સ્થાપિત બિન-લાભકારી સંસ્થા, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને X (અગાઉ ટ્વિટર) દ્વારા તેના સભ્યોને મૅડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે સતર્ક રહેવા વિનંતી કરી હતી. સંગઠને લોકોને પરિસ્થિતિ પર નજર રાખવા અને વાતચીત દરમિયાન નાગરિક વર્તન જાળવવાની સલાહ આપી હતી. ફાઉન્ડેશન અનુસાર, કેટલાક વ્યક્તિઓ કાર્યક્રમ પહેલા હિન્દુ અમેરિકન સમુદાયને નિશાન બનાવી રહ્યા છે અને તેને રદ કરવા અથવા વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંગઠને ઝોહરાન મમદાનીને તમામ નાગરિકોની સલામતી અને અધિકારોની ખાતરી આપવા હાકલ કરી.
આ દરમિયાન, અમેરિકન કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ પણ મોહન ભાગવતના કાર્યક્રમની ટીકા કરી છે. કમિશને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ બગડી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો અને માગ કરી હતી કે યુએસ સરકાર RSS સભ્યો અને ભારતીય અધિકારીઓ પર પ્રતિબંધો લાદે. ભાગવત 29 ઑગસ્ટના રોજ ન્યૂ યૉર્કમાં એક કાર્યક્રમને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમ એકતા અને પરસ્પર જોડાણની થીમ પર આધારિત છે. જો કે, આ કાર્યક્રમે ન્યૂ યૉર્કમાં રાજકીય ચર્ચા જગાવી છે.
અમેરિકન ગાયિકા મૅરી મિલબેન મોહન ભાગવતના કાર્યક્રમનું સ્વાગત કર્યું. તેણે કહ્યું, "સૌ પ્રથમ, હું RSS વડાનું યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્વાગત કરું છું. મને લાગે છે કે જ્યારે આવા વિવાદો ઉભા થાય છે, ત્યારે આપણે આપણા દેશમાં કોઈને આવકારવાની મૂળભૂત ભાવનાને ભૂલી જઈએ છીએ." તેણે ઉમેર્યું કે ભારતીય-અમેરિકન સમુદાયની બહારના ઘણા અમેરિકનોને RSS વિશે મર્યાદિત જ્ઞાન છે. તેણે સંગઠનના ભૂતકાળ સાથે સંકળાયેલા વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો. મિલબેને કહ્યું, "મને લાગે છે કે RSS વડા અને સંગઠનના નેતાઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આજના સમયમાં RSSનો સંદેશ લોકોને જણાવવો." તેણે આશા વ્યક્ત કરી કે ભાગવત અમેરિકન જનતાને RSSના કાર્ય અને હિન્દુ સમુદાય સંબંધિત તેની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરશે. મિલબેને કાર્યક્રમના આયોજકોને અન્ય ધર્મોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવા વિનંતી કરી.