14 August, 2026 09:48 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ એક અહેવાલમાં ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. નવારોના મતે, ચીનથી આવતા માલને ભારત અને અન્ય દેશો વડે અમેરિકા મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે આ નેટવર્કના સંબંધમાં ભારત પણ અમેરિકાની તપાસ રૅડાર હેઠળ છે.
વ્હાઇટ હાઉસના અહેવાલમાં ગુજરાત, ચેન્નઈ અને પુણેને અમેરિકાના સિનસિનાટી, ડેટન અને કોલંબસના ‘Ugly Sister City’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં આ શહેરોને પંપ અને કમ્પ્રેસર જેવા સમાન ઉત્પાદનો દ્વારા જોડાયેલા વિદેશી અને અમેરિકન ઉત્પાદન અને વેપાર કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ચીની માલને કોઈ બીજા દેશોમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ અમેરિકાને મોકલતા પહેલા પ્રોસેસિંગ, રિ-લેબલિંગ અને રિ-પૅકેજિંગમાંથી પસાર કરે છે. આવું કરવાનો હેતુ ચીનને મૂળ દેશ તરીકે છુપાવવાનો અને ઓછા ટૅરિફ દરો સુરક્ષિત કરવાનો છે.
નાવારોએ જણાવ્યું હતું કે 2018 માં અમેરિકા દ્વારા ચીન પર ટૅરિફ લાદવામાં આવ્યા પછી, ચીને ટ્રાન્સશિપમૅન્ટ પદ્ધતિઓ વિકસાવવાનું શરૂ કર્યું. તેમણે આને "દાણચોરીનું આધુનિક સ્વરૂપ" ગણાવ્યું. નાવારોના મતે, સૌથી સામાન્ય પદ્ધતિમાં ચીન દ્વારા માલ બીજા દેશમાં મોકલવામાં આવે છે, જ્યાં ઓછા ટૅરિફ દરે માલ અમેરિકા મોકલતા પહેલા લેબલ બદલવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે આ "અમેરિકન નોકરીઓ અને સરકારી આવક બન્નેને અસર કરે છે." નાવારોના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ટ્રાન્સશિપમૅન્ટથી અમેરિકા વાર્ષિક ડૉલર 19 બિલિયનથી ડૉલર 26 બિલિયન ટૅરિફ આવક ગુમાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે આયાતમાં દરેક રૂ. 1 બિલિયનની હેરફેર અમેરિકામાં આશરે 6,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓને અસર કરી શકે છે.
અહેવાલ મુજબ, ચીને 2018 થી 40 થી વધુ દેશોમાં આવા નૅટવર્ક વિકસાવ્યા છે. તેમાં ભારત, મૅક્સિકો, કૅનેડા, યુરોપિયન યુનિયન, દક્ષિણ કોરિયા અને જાપાનનો સમાવેશ થાય છે. નાવારોએ જણાવ્યું હતું કે, "ભારત નિશ્ચિતપણે અમારા ટાર્ગેટ યાદીમાં છે. ભારત રડાર સ્ક્રીન પર છે." નાવારોએ ભારત અને કેટલાક અન્ય દેશો પર નવા ટૅરિફને ટાળવા માટે ‘શૅડો નૅટવર્ક’ સ્થાપવાનો આરોપ મૂક્યો. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે ભારત, ચીન, સ્લૉવાકિયા, હંગેરી અને અઝરબૈજાન, રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 100 ટકા ટૅરિફનો સામનો કરી શકે છે. નાવારોએ અગાઉ ભારતને ‘ટૅરિફનો મહારાજા’ તરીકે ઓળખાવ્યો છે. પરિણામે, તેમના તાજેતરના આરોપો ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ વધારી શકે છે. આ અંગે ભારત સરકાર દ્વારા કોઈપણ સ્પષ્ટતા કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, જેથી દેશ સહિત દુનિયાની નજર અમેરિકાના આરોપ સામે ભારતના જવાબ પર છે.