"હરે કૃષ્ણનો જાપ કરતો રહ્યો": 9 દિવસથી નેપાળની ટનલમાં ફસાયેલા કર્મચારીનું જન્માષ્ટમીના દિવસે રેસ્ક્યૂ

04 September, 2026 05:28 PM IST  |  Kathmandu | Gujarati Mid-day Online Correspondent

બીજા બચાવાયેલા કર્મચારીની ઓળખ 45 વર્ષીય કબીર મહાજન તરીકે થઈ છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે, તેમને વધુ સારવાર માટે કાઠમંડુના છાઉની સ્થિત નેપાળ આર્મી હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્રિશૂલી 3A ટનલમાંથી બન્ને કર્મચારીઓને બચાવ્યા.

રેસ્ક્યૂના વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

26 ઑગસ્ટના રોજ નેપાળમાં આવેલા ભયંકર પૂર પછી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયેલા 30 વર્ષીય સંજય શાહને શુક્રવારે જીવતો બચાવી લેવામાં આવ્યો હતો. તે નવ દિવસથી ટનલમાં ફસાયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન, તે સતત `હરે કૃષ્ણ` મહામંત્રનો જાપ કરતો હતો જેથી તેનું મન શાંત રહ્યું હોવાનું તેણે કહ્યું. શુક્રવારે બચાવાયેલા બે હાઇડ્રોપાવર કર્મચારીઓમાં સંજય શાહ એક હતો; બચાવ કામગીરી શરૂ થયાના દસમા દિવસે પણ ચાલી હતી. ટનલ કાટમાળ નીચે દટાયેલી હતી, જેના કારણે રેસ્ક્યૂ ટીમનો પ્રવેશ મુશ્કેલ બન્યો હતો.

નવ દિવસ સુધી મહામંત્રનો જાપ

ટનલમાંથી બહાર કાઢ્યા પછી, સંજય શાહને ઑક્સિજન માસ્ક આપવામાં આવ્યો. તેણે બચાવ કર્મચારીઓને કહ્યું કે અંદર ફસાયેલા હોવા છતાં તે સતત `હરે કૃષ્ણ` મહામંત્રનો જાપ કરતો હતો. તેણે કહ્યું કે આનાથી તેને પોતાનું મન શાંત રાખવામાં મદદ મળી. સંજય શાહ પ્રોજેક્ટમાં ફોરમૅન તરીકે કામ કરે છે. એવું જાણવા મળ્યું હતું કે ઘટના બન્યા પછી જ્યારે અન્ય લોકો બહાર નીકળી રહ્યા હતા ત્યારે તે પાછળ રહી ગયો હતો, કારણ કે તેને સ્ટાફની સલામતીની જવાબદારી લાગી. સંજય શાહને કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે જ બચાવી લેવામાં આવ્યો છે.

બીજા કર્મચારીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

બીજા બચાવાયેલા કર્મચારીની ઓળખ 45 વર્ષીય કબીર મહાજન તરીકે થઈ છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે, તેમને વધુ સારવાર માટે કાઠમંડુના છાઉની સ્થિત નેપાળ આર્મી હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્રિશૂલી 3A ટનલમાંથી બન્ને કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

ઘણા વિસ્તારોમાં શોધ કામગીરી ચાલુ

નેપાળના અન્ય ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. પૂરથી ઓછામાં ઓછા 12 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે. 26 ઑગસ્ટના રોજ, નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકોના હિમપ્રપાતને કારણે આવેલા અચાનક પૂરથી ઉત્તર અને મધ્ય નેપાળના અનેક નગરો અને ગામડાઓ પ્રભાવિત થયા હતા. મિલકત અને માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. ગુરુવાર સુધીમાં, મૃત્યુઆંક 1,250 ને વટાવી ગયો હતો, જ્યારે 4,800 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. નેપાલના નુવાકોટ જિલ્લામાં અચાનક આવેલા વિનાશક પૂર પહેલાં જ ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડનાર પ્રિન્સિપાલની સ્કૂલને ફરીથી બનાવવા ભારતે મહત્ત્વની જાહેરાત કરી છે. નેપાલમાં ભારતના રાજદૂતે નવીન શ્રીવાસ્તવે મંગળવારે ત્રિભુવન ત્રિશુલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીની મુલાકાત લઈને તેમના સાહસિક નિર્ણયની ભારે પ્રશંસા કરી હતી. ગયા મહિને ૨૬ ઑગસ્ટે ત્રિશુલી ખીણમાં ભયાનક પૂર આવ્યું હતું. પૂરની ચેતવણી મળતાં જ રાજેન્દ્ર દવાડીએ જરાય વિલંબ કર્યા વિના સ્કૂલની બેલ વગાડીને તાત્કાલિક કૅમ્પસ ખાલી કરાવ્યું હતું. તેમણે આ નિર્ણય લીધાની માત્ર ૧૦ મિનિટમાં જ પૂરનાં ધસમસતાં પાણીએ સ્કૂલ અને ૧૦૦ મીટર દૂર આવેલી હૉસ્ટેલને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો ૧૦ સેકન્ડ પણ મોડું થયું હોત તો કોઈ જીવતું ન બચ્યું હોત. આ સ્કૂલના નવા ભવનનું નિર્માણ ૨૦૨૨માં ભારતની હાઈ ઇમ્પૅક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (HICDP) ગ્રાન્ટ હેઠળ કરવામાં આવ્યું હતું. હવે આખું કૅમ્પસ પૂરનાં પાણીમાં ધોવાઈ જતાં ભારતે આ સ્કૂલના સંપૂર્ણ પુનઃનિર્માણ માટે ટેકો આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.

nepal janmashtami kathmandu viral videos international news