17 September, 2026 02:40 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાની નૌકાદળના જહાજ દ્વારા કરવામાં આવેલા અનસેફ અને અનપ્રોફેશનલ વર્તનને કારણે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ સાથે ટક્કર થઈ જતાં ભારતે આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો અને પાકિસ્તાની હાઈ કમિશનના ઇન્ચાર્જને બોલાવ્યા હતા. ભારતે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી છતાં પાકિસ્તાને અગાઉથી સૂચના આપવાના કરારનું ઉલ્લંઘન કર્યું છે.
આ બાબતે વિદેશમંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાની નૌકાદળના જહાજનું વર્તન એપ્રિલ ૧૯૯૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયત, દાવપેચ અને સૈનિકોની હિલચાલ વિશેની અગાઉથી જાણ કરવાના કરારની કલમ ૧૦નું સીધું ઉલ્લંઘન હતું. પાકિસ્તાનના ઇન્ચાર્જને સલાહ આપવામાં આવી હતી કે તેઓ સંબંધિત પાકિસ્તાની સત્તાવાળાઓને જણાવે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે તમામ લશ્કરી એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બન્ને પક્ષો વચ્ચેના સંબંધિત કરારોની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. ઇસ્લામાબાદમાં ભારતના ઇન્ચાર્જને પણ ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાનના વિદેશમંત્રાલય સમક્ષ આવો જ વિરોધ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી.