09 April, 2022 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈમરાન ખાન (ફાઈલ ફોટો)
પાકિસ્તાન (Pakistan) માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈમરાન ખાન(Imran khan) સરકારે ત્યાંની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં બહુમતી સાબિત કરવાની છે. બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. આજે ગૃહમાં આ ઠરાવ પર ચર્ચાની શરૂઆત કરતા વિપક્ષના નેતા શાહબાઝ શરીફ અવિશ્વાસ પ્રસ્તાવને વિદેશી ષડયંત્ર ગણાવતા સ્પીકર પર ગુસ્સે થયા હતા. તેમણે સ્પીકરને સંવિધાન સાથે ઊભા રહેવા વિનંતી કરી.
આ પછી, સંસદમાં હોબાળા વચ્ચે સ્પીકરે કાર્યવાહી બપોરે 1 વાગ્યા (ભારતીય સમય) સુધી સ્થગિત કરી દીધી, પરંતુ હજુ સુધી કાર્યવાહી ફરી શરૂ થઈ નથી. અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે જ મતદાન થવાનું છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા વડાપ્રધાન ઈમરાન ખાને કાયદાકીય નિષ્ણાતો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે.
નેશનલ એસેમ્બલીમાં ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં કોઈ ચમત્કારની અપેક્ષા નથી. ખાને તેની સામેની અવિશ્વાસની દરખાસ્તને ફગાવી દેવાના નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના વિવાદાસ્પદ નિર્ણયને સર્વોચ્ચ અદાલતે બાજુ પર રાખવા પર પણ નિરાશા વ્યક્ત કરી હતી.
એવું માનવામાં આવે છે કે ઈમરાન ખાન સરકારના પતન બાદ પીએમએલ (નવાઝ)ના નેતા શાહબાઝ શરીફ વડાપ્રધાન બની શકે છે. શાહબાઝ શરીફ પીએમ બન્યા બાદ તેમના ભાઈ અને પૂર્વ પીએમ નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરી શકે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં કોઈ પણ વડાપ્રધાને પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.