27 February, 2026 01:36 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સશસ્ત્ર દળો કોઈપણ ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર દરશ તેની સેના સાથે ઉભું છે અને કોઈપણ આક્રમણનો જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. શરીફે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન પ્રાદેશિક શાંતિ માટે પ્રતિબદ્ધ છે પરંતુ તેની સરહદો અને સાર્વભૌમત્વના રક્ષણ માટે કોઈપણ પડકાર સ્વીકારશે નહીં.
શરીફે જણાવ્યું હતું કે ચીફ ઑફ આર્મી સ્ટાફ ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીરના નેતૃત્વમાં સશસ્ત્ર દળો અત્યંત સમર્પણ અને વ્યાવસાયિકતા સાથે પોતાની ફરજો બજાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સેનાએ અદ્યતન તાલીમ અને વ્યૂહાત્મક તૈયારીઓ મેળવી છે અને તે આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારના ખતરાનો સામનો કરવા સક્ષમ છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ અથવા તેની સરહદોની સુરક્ષા સાથે સમાધાન કરશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ આક્રમણને અવગણવાને નબળાઈ તરીકે અર્થઘટન કરવામાં આવશે અને તેનો કડક અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ, કંદહાર અને પક્તિયામાં હવાઈ હુમલા કર્યા. આ પછી, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તેને `ખુલ્લું યુદ્ધ` ગણાવ્યું અને કહ્યું કે તાલિબાન સરકાર આતંકવાદીઓને આશ્રય આપી રહી છે અને આતંકવાદનો પાકિસ્તાન મોકલી રહી છે. તેમણે ચેતવણી આપી કે પાકિસ્તાનની સહનશીલતા સામાપ્ત થઈ ગઈ છે અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે.
અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલાઓને ‘કાયર’ ગણાવ્યો. તેમણે કહ્યું કે કાબુલ, કંદહાર અને પક્તિયામાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જેમાં કેટલાકના મૃતદેહ અફઘાનિસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ‘કેટલાકને જીવતા પકડવામાં આવ્યા હતા.’ તેમણે પોતાની જાનહાનિમાં આઠ માર્યા ગયા અને અન્ય 11 ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે તેણે 19 પાકિસ્તાની સૈન્ય ચોકીઓ અને બે ઠેકાણાઓનો નાશ કર્યો હતો, અને હુમલો શરૂ થયાના લગભગ ચાર કલાક પછી, મધ્યરાત્રિએ લડાઈનો અંત આવ્યો હતો.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ મોખરે છે. અફઘાન મીડિયા આઉટલેટ ટોલો ન્યૂઝ અનુસાર, અફઘાન દળોએ તેમના હવાઈ ક્ષેત્રમાં ઉલ્લંઘન કરનાર પાકિસ્તાની F-16 ફાઇટર જૅટને તોડી પાડ્યું હતું. વિમાનના સળગતા કાટમાળના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. જોકે તે બાબતે હજી હોય સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.