12 March, 2023 10:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નિત્યાનંદે હવે જિનપિંગને ફ્રેન્ડશિપનો મેસેજ મોકલ્યો
બીજિંગ : ભારતમાં રેપ અને કિડનૅપિંગ જેવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા બાદ દેશ છોડીને ભાગી ગયેલો નિત્યાનંદ વધુ એક વખત ચર્ચામાં છે. રિસન્ટલી તેણે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના કહેવાતા દેશ કૈલાસાનો પ્રતિનિધિ મોકલ્યો હતો. હવે તેણે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને મેસેજ મોકલ્યો છે. તેણે જિનપિંગને પ્રેસિડન્ટ તરીકેની ત્રીજી ટર્મને લઈને અભિનંદન આપ્યાં હતાં. ટ્વિટર પર મોકલવામાં આવેલા મેસેજ બાદ સવાલ કરવામાં આવી રહ્યો છે કે શું નિત્યાનંદ હવે ભારતના દુશ્મન ચીન સાથે દોસ્તી કરવા માગે છે કે પછી તે બીજું કોઈ કાવતરું કરવા ઇચ્છે છે.
ટ્વિટર પર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાના ઑફિશ્યલ અકાઉન્ટથી મેસેજ કરવામાં આવ્યો છે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા અને હિન્દુ ધર્મના સૌથી ટોચના ધર્માધ્યક્ષ નિત્યાનંદ તરફથી અમે શી જિનપિંગને પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના પ્રેસિડન્ટ તરીકે ફરી ચૂંટાવા બદલ અભિનંદન આપીએ છીએ. તમારા મહાન દેશ, એના લોકો અને કૈલાસા વચ્ચે લાંબા સમય સુધી ચાલનારા ફ્રેન્ડલી સંબંધોની આશા રાખીએ છીએ.’