19 May, 2025 09:34 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઠાર મરાયેલો રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહ
પાકિસ્તાનમાં એક બાદ એક આતંકવાદીઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવાનો સિલસિલો યથાવત્ છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના મતલી ફલકારા ચોક વિસ્તારમાં લશ્કર એ-તય્યબા અને જમાતના નેતા રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ લશ્કર કમાન્ડરને ધોળા દિવસે ગોળી મારીને વીંધી નાખ્યો હતો. અબુ સૈફુલ્લાહ ભારતમાં થયેલા ઘણા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો. સૈફુલ્લાહ ૨૦૦૬માં નાગપુરમાં RSSના મુખ્યાલય પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તે 2001માં ઉત્તર પ્રદેશના રામપુરમાં CRPF કૅમ્પ પરના હુમલાનું અને ૨૦૦૫માં બૅન્ગલોરમાં ભારતીય વિજ્ઞાન કૉન્ગ્રેસ પરના હુમલાનું કાવતરું ઘડનાર પણ હોવાનું કહેવાય છે.