16 April, 2026 08:16 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન સાઇકોલૉજિસ્ટોને લખેલા એક ઓપન લેટરમાં ઈરાની સાઇકોલૉજિસ્ટોએ વિશ્વશાંતિના હિતમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને અન્ય અમેરિકન રાજકીય નેતાઓના માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની હાકલ કરી હતી. ઈરાની સાઇકોલૉજિસ્ટોએ ટ્રમ્પના અજબગજબ વર્તન, અત્યંત ધ્યાન ખેંચનારાં અને ક્યારેક અળવીતરાં વક્તવ્યો અને ભ્રામક વિચારોનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે વિશ્વને આગના ખાડામાં ધકેલી દીધું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘ગયા અઠવાડિયે ટ્રમ્પે રાતોરાત ઈરાનને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે આજે રાત્રે એક આખી સભ્યતાનો નાશ થશે. બીજી તરફ રવિવારે તેમના નિશાન પર પોપ હતા. આ અસંગત, સમજવામાં મુશ્કેલ અને ક્યારેક અપમાનજનક નિવેદનોએ ઘણા લોકોના મનમાં તેમની ઇમેજ એક પાગલ સરમુખત્યાર તરીકે બનાવી છે જે સત્તાના નશામાં છે.’
ટ્રમ્પની માનસિક ક્ષમતા વિશે અમેરિકામાં પ્રશ્નો
જોકે વાઇટ હાઉસે આવી વાતોને ફગાવી દેતાં કહ્યું હતું કે ટ્રમ્પ તીક્ષ્ણ મનના છે અને તેમના વિરોધીઓને હેરાન કરી રહ્યા છે. જોકે પ્રેસિડન્ટનાં ઉગ્ર નિવેદનોએ યુદ્ધના સમયમાં અમેરિકાના નેતૃત્વ વિશે પ્રશ્નો ઊભા કર્યા છે. લાંબા સમયથી ટ્રમ્પની માનસિક ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવી રહેલા ડેમોક્રૅટ્સે તેમને સત્તા પરથી દૂર કરવા માટે પચીસમા સુધારાને લાગુ કરવાની માગણી શરૂ કરી છે.