ના-ના કરતાં ઈરાની ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું

11 April, 2026 10:29 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

આજથી અમેરિકા-ઈરાન વચ્ચે થશે શાંતિવાર્તાની ખરી શરૂઆત

ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી ડેલિગેશન સાથે ગઈ કાલે સાંજે ઇસ્લામાબાદ પહોંચ્યા ત્યારે પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમને આવકાર્યા હતા

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ ખૂબ નાજુક છે અને ગમે ત્યારે પડી ભાંગે એવી સ્થિતિ વર્તાઈ રહી છે. એમ છતાં બન્ને પક્ષો શાંતિમંત્રણા માટે ગઈ કાલે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચી ગયા હતા. ઈરાને શરૂઆતમાં લેબૅનન પર હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ વાર્તાલાપ નહીં થાય એવી ધમકી આપી હતી, પરંતુ શુક્રવારે મોડી સાંજે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી અને પાર્લમેન્ટના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફ ઇસ્લામાબાદ પહોંચી ગયા હતા.

ગઈ કાલે અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સના નેતૃત્વવાળું ડેલિગેશન અમેરિકાથી ઇસ્લામાબાદ આવવા રવાના થઈ ગયું હતું. અમેરિકાથી નીકળતાં પહેલાં જે. ડી. વૅન્સે આશા જતાવી હતી કે ‘પ્રેસિડન્ટે વાતચીત માટે સ્પષ્ટ ગાઇડલાઇન્સ આપી છે. આશા રાખીએ છીએ કે બન્ને પક્ષો ઈમાનદારીથી વાતચીત કરશે તો પૉઝિટિવ પરિણામ આવી શકે છે.’

અમેરિકા તરફથી સ્પેશ્યલ ઍન્વોય સ્ટીવ વિટકૉફ અને સિનિયર ઍડ્વાઇઝર જૅરેજ કુશનર પણ વાર્તાલાપમાં સામેલ થવાના છે. જોકે ઈરાનને અન્ય પ્રતિનિધિઓની તુલનામાં જે. ડી. વૅન્સ સાથે સંતુલિત વાતચીત થશે એવું લાગે છે.

લેબૅનન સાથે અલગથી ડાયરેક્ટ વાતચીત કરશે ઇઝરાયલ

લેબૅનન સાથેના ઇઝરાયલના મુદ્દાને અમેરિકા-ઈરાનના યુદ્ધવિરામમાં વચ્ચે ન લાવવામાં આવે એ માટે ઇઝરાયલે અલગથી લેબૅનન સાથે શાંતિમંત્રણા કરવાની તૈયારી બતાવી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘મેં કૅબિનેટને નિર્દેશ કર્યો છે કે જલદીથી લેબૅનન સાથે સીધી વાતચીત શરૂ કરવામાં આવે. આ વાતચીતનો હેતુ હિઝબુલ્લાને નિ:શસ્ત્ર કરવાનો અને બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો છે.’

ઇસ્લામાબાદમાં લૉકડાઉન : સ્કૂલ-કૉલેજો બંધ અને મોટા ભાગના રોડ સીલ

શાંતિવાર્તા માટે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ ઇસ્લામાબાદમાં આવ્યા છે ત્યારે પાકિસ્તાને સુરક્ષા માટે વિશેષ તજવીજ કરી છે. રાજધાનીમાં ૧૦,૦૦૦થી વધુ સુરક્ષા-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. 

iran pakistan islamabad united states of america international news world news news