13 September, 2026 10:37 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બ્રિક્સ શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની મુલાકાત થાય એ પહેલાં ચીને ૬ વર્ષ બાદ દિલ્હી માટેની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં ચાઇના સધર્ન ઍરલાઇન્સે જાહેરાત કરી હતી કે એ ૬ વર્ષના સ્થગિત સમયગાળા બાદ ગ્વાન્ગઝૂ અને નવી xદિલ્હી વચ્ચે ૨૧ સપ્ટેમ્બરથી નિયમિત પૅસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. ફ્લાઇટ-સેવાઓને કારણે સાઉથ એશિયામાં ચાઇના સધર્ન ઍરલાઇન્સની વિસ્તરતી કામગીરીને વેગ મળશે. આ ક્ષેત્રમાં ૮ રાઉન્ડ-ટ્રિપ રૂટ પર સાપ્તાહિક ૧૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.
કોવિડ-19 રોગચાળો તેમ જ ડોકલામ અને ગલવાન ખાતેના તનાવને પગલે બન્ને દેશો વચ્ચે હવાઈસેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે આ સેવાઓ ધીમે-ધીમે ફરી શરૂ થઈ છે. ઍર ઇન્ડિયાએ ૨૦૨૬ના ફેબ્રુઆરીમાં નવી દિલ્હીથી ચીનની સેવાઓ ફરી શરૂ કરી હતી. ત્યાર બાદ ચાઇના ઈસ્ટર્ન ઍરલાઇન્સે ૧૮ એપ્રિલે કુનમિંગ-કલકત્તા રૂટ પર સેવાઓ પુનઃ સ્થાપિત કરી હતી. ત્યાર બાદ ઍર ચાઇનાએ એપ્રિલમાં બીજિંગ-દિલ્હી સેવા ફરી શરૂ કરી હતી. આ જ સમયગાળા દરમ્યાન ઇન્ડિગોએ ૩૦ માર્ચથી કલકત્તા અને શાંઘાઈ વચ્ચે દૈનિક નૉન-સ્ટૉપ ફ્લાઇટ્સ શરૂ કરી હતી.