બલોચ ફાઇટર્સનો દાવો : અમે ૨૧૪ બંધકોને લઈ નાસી છૂટ્યા, ડેડલાઇન પૂરી થયા બાદ તમામને મારી નાખ્યા

16 March, 2025 12:05 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

અમારાં દળોએ ૩૩ મિલિટન્ટને ઠાર કર્યા હતા અને ૩૫૪ બંધકોને બચાવી લીધા હતા, BLA એક પણ બંધકને લઈ ગઈ હોય એવા કોઈ પુરાવા નથી.

પ્રતીકાત્મક તસવીર

અલગાવવાદી જૂથ બલોચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ગઈ કાલે દાવો કર્યો હતો કે જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઇજૅક બાદ પાકિસ્તાની દળો આવ્યાં ત્યારે અમે ૨૧૪ બંધકોને લઈને નાસી છૂટ્યા હતા અને ૪૮ કલાકની અમારી ડેડલાઇન પૂરી થયા બાદ તમામ બંધકોને મારી નાખ્યા હતા.

આ મુદ્દે BLAના પ્રવક્તા જીયંદ બલોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમે પાકિસ્તાની દળોને પ્રિઝનર્સ ઑફ વૉર પાછા આપવા માટે ૪૮ કલાકની ડેડલાઇન આપી હતી. તેમણે એ પાળી નહીં એટલે અમે ૨૧૪ બંધકોને મારી નાખ્યા હતા. અમે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આમ કર્યું હતું. પાકિસ્તાને એનું જક્કી વલણ છોડ્યું નહોતું અને એના કારણે તેમના ૨૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે.’

જોકે આ ગ્રુપે તેમના દાવાને સમર્થન કરતા કોઈ પુરાવા આપ્યા નહોતા. બીજી તરફ પાકિસ્તાની આર્મીના અહમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે અમારાં દળોએ ૩૩ મિલિટન્ટને ઠાર કર્યા હતા અને ૩૫૪ બંધકોને બચાવી લીધા હતા, BLA એક પણ બંધકને લઈ ગઈ હોય એવા કોઈ પુરાવા નથી.

pakistan terror attack news world news international news