નેપાલની ત્રિશુલી બજારના ભારતીય વેપારીએ પૂરમાં ૪૫ કરોડની સંપત્તિ ગુમાવી દીધી, શર્ટ પણ માગીને પહેર્યું

01 September, 2026 10:15 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

૪૪ વર્ષથી નેપાલમાં રહેતા અશોક કુમાર ચૌરસિયાએ પૂરમાં ભાભી અને ભત્રીજાને ગુમાવ્યાં

અશોક કુમાર ચૌરસિયા

નેપાલના ત્રિશુલી બજારમાં આવેલા પૂરમાં કાપડના હોલસેલ ભારતીય વેપારી અશોક કુમાર ચૌરસિયાએ પોતાનો વ્યવસાય અને ૪૫ કરોડ રૂપિયાથી વધુની મિલકત ગુમાવી દીધી છે. તેમનો વ્યવસાય કરોડો રૂપિયાનો હતો, પરંતુ મહાપૂર બાદ તેમને પહેરવા માટે શર્ટ પણ માગીને પહેરવાનો વારો આવ્યો છે. તેમની પાસે હવે પહેરવા માટે કપડાં પણ નથી. આ દુર્ઘટનામાં અશોક ચૌરસિયાએ તેમની ભાભી અને ભત્રીજાને ગુમાવ્યાં છે. ઘરના બાકીના સભ્યોને ભારત મોકલી દીધા છે. ત્રિશુલી બજારમાં ૬૦થી વધુ ભારતીય પરિવારો રહેતા હતા, પરંતુ હવે સર્વત્ર ક્ષતિગ્રસ્ત ઘરો અને ખંડેર દુકાનો દેખાય છે.

નેપાલમાં વસવાટ વિશે બોલતાં અશોક કુમાર ચૌરસિયાએ કહ્યું હતું કે ‘હું ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રસરાનો રહેવાસી છું અને ૪૪ વર્ષથી નેપાલમાં છું. ૨૦ વર્ષથી ત્રિશુલી બજારમાં મારી દુકાન છે. ત્રિશુલી બજારમાં મારી કાપડની દુકાનો અને ગોદામો હતાં. મારો વ્યવસાય નુવાકોટ જિલ્લામાં ખૂબ જાણીતો હતો અને અહીંના સૌથી મોટા જથ્થાબંધ કપડાના વેપારીઓમાંનો એક હતો.’

મરણાંક ૯૫૫, ૪૭૦૦+ લાપતા
૨૬ ઑગસ્ટે નેપાલ અને તિબેટની બૉર્ડર પર ગ્લેશિયર તૂટી પડતાં ભોટેકોશી અને ત્રિશુલી નદીમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૯૫૫ લોકોનાં મોત થયાં છે. તાજેતરના સરકારી આંકડાઓ મુજબ નેપાલમાં ૯૩૯ અને ચીનમાં ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બન્ને દેશોમાં મળીને કુલ ૪૭૯૩ લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ૯૩૩ કામદારો અને ૨૭૫થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે જેમાં તામિલનાડુના ૮૪ અને કેરલમના ૬ લોકો છે.

સર્વસ્વ ગુમાવ્યું

અશોકકુમાર ચૌરસિયાની પાસે ચાર દુકાનો, ચાર ગોદામ, એક મારુતિ કાર અને એક સ્કૂટર હતાં. આ દુર્ઘટનામાં તેમને ૪૫ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેમણે બધું જ ગુમાવ્યું છે. ખાવા માટે પૈસા નથી, ૧૦૦ રૂપિયા પણ નથી. 

international news world news nepal tibet china