ઈરાનના બંદર અબ્બાસ નામના શહેરમાં થયો ભીષણ ધડાકો : ૪ લોકોનાં મોત અને ૫૦૦થી વધારે ઈજાગ્રસ્ત

27 April, 2025 03:13 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઘટનાસ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઈરાનના બંદર અબ્બાસ શહેરના રઝઈ બંદર પર શનિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ભીષણ વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આ વિસ્ફોટમાં ૪ લોકોનાં મોત થયાં છે અને ૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટનું કોઈ નક્કર કારણ હજી સુધી સામે નથી આવ્યું. આ મામલે ઈરાનની કસ્ટમ્સ ઑથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારનો વિસ્ફોટ સિના કન્ટેનર યાર્ડમાં થયો હતો, એ બંદર અને સમુદ્રી સંગઠન સાથે જોડાયેલો છે.

ઘટનાસ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રઝઈ બંદર પર થયેલા આ ભીષણ ધડાકાને કારણે અનેક કિલોમીટર દૂર ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને અનેક ઘરો-ઑફિસોને નુકસાન થયું હતું.

international news world news iran fire incident