ઓમાન પાસે જહાજ પર હુમલો, ૨૧ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા, ત્રણ જણ હજી ગુમ

11 June, 2026 09:51 AM IST  |  Oman | Gujarati Mid-day Correspondent

ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. શોધ અને બચાવકામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરવામાં આવી રહ્યું છે

બચાવાયેલા ભારતીયો

ઓમાનના દરિયાકિનારે કમર્શિયલ જહાજ સેટાબેલો પર હુમલો કરવામાં આવ્યો છે અને એમાં સવાર ૨૪ ભારતીય ક્રૂ સભ્યોમાંથી ૨૧ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૩ હજી પણ ગુમ છે. પલાઉના ધ્વજવાળું આ જહાજ કેમિકલનો કાર્ગો લઈને જઈ રહ્યું હતું ત્યારે એના એન્જિનરૂમમાં આગ લાગી હતી. આ જહાજે પહેલી જૂને ઓમાની કોસ્ટથી એની મુસાફરી શરૂ કરી હતી.
આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમે ઓમાનના દરિયાકિનારે જહાજ સેટાબેલો પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. બોર્ડ પર સવાર ૨૪ ભારતીય ક્રૂ સભ્યોમાંથી અત્યાર સુધીમાં ૨૧ને બચાવી લેવામાં આવ્યા છે અને ૩ હજી પણ ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. શોધ અને બચાવકામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરવામાં આવી રહ્યું છે.’

અમેરિકાના હુમલા સામે ઈરાનનો ભીષણ પલટવાર : બાહરિન,  કુવૈત અને જૉર્ડનમાં અમેરિકાનાં સૈન્યમથકો પર ડ્રોન-મિસાઇલનો મારો

ડીલ કરવામાં મોડું કરનાર ઈરાને હવે મોટી કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પની ચેતવણી; યુદ્ધ રોકવા કતરનું પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું

સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાની બંદરો અને ટાપુઓ પર અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને મધ્યપૂર્વમાં મોટો લશ્કરી વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝે (IRGC) બુધવારે બાહરિનમાં તહેનાત અમેરિકી ફિફ્થ ફ્લીટ, કુવૈતના અલી અલ સાલેમ ઍરબેઝ અને જૉર્ડનના અઝરાક સૈન્યમથક પર શ્રેણીબદ્ધ ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલો વડે હુમલા કર્યા છે. IRGCના દાવા મુજબ તેમણે ૨૧ અમેરિકી લક્ષ્યોને નિશાન બનાવી જૉર્ડનમાં F-35 ફાઇટર જેટ હૅન્ગર સહિત ૪ મથકો નષ્ટ કર્યાં છે. જોકે ત્રણેય દેશોના સત્તાવાળાઓએ તમામ મિસાઇલો હવામાં જ તોડી પાડી હોવાનો અને કોઈ જાનહાનિ ન થઈ હોવાનો દાવો કર્યો છે.

આ ભીષણ અથડામણ મંગળવારે ઈરાન દ્વારા અમેરિકાના અપાચે હેલિકૉપ્ટરને તોડી પાડવાના આરોપ બાદ શરૂ થઈ હતી, જેના જવાબમાં અમેરિકાની સેનાએ ઈરાનના કેશમ ટાપુ અને દરિયાકાંઠાનાં બંદરો પર બૉમ્બમારો કર્યો હતો. ટ્રમ્પે ધમકી આપતાં કહ્યું હતું કે ‘ઈરાને શાંતિકરાર માટે વાટાઘાટોમાં ખૂબ લાંબો સમય લગાડ્યો છે જે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકત. હવે તેમણે આની ભારે કિંમત ચૂકવવી પડશે.’ 

ટ્રમ્પે ઉમેર્યું હતું કે બન્ને પક્ષો ઐતિહાસિક ડીલથી માત્ર બે-ત્રણ દિવસ જ દૂર હતા. દરમ્યાન, પ્રાદેશિક સ્થિતિ વધુ વણસે એ પહેલાં યુદ્ધનો અંત લાવવાના રાજદ્વારી પ્રયાસોના ભાગરૂપે કતરનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ હાલ તેહરાનમાં ઈરાની સત્તાવાળાઓ સાથે મહત્ત્વની બેઠક કરી રહ્યું હોવાની પુષ્ટિ ઈરાનના વિદેશ મંત્રાલયે કરી છે.

international news oman world news indian government