15 May, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીશાન સિદ્દીકી
મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં નવા નિયુક્ત થયેલા સભ્યોએ ગુરુવારે શપથ ગ્રહણ કર્યા એ વખતે કૉન્ગ્રેસના સભ્ય ઝીશાન સિદ્દીકીએ અંગ્રેજી ભાષામાં શપથ લેતાં વિધાનપરિષદમાં વિવાદ થયો હતો. ઝીશાન સિદ્દીકીએ મરાઠીમાં શપથ ન લીધા એની સામે ખાસ કરીને શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.
ઝીશાન સિદ્દીકીની ટીકા કરતાં શિવસેનાના નેતા તેમ જ મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે કહ્યું હતું કે ‘આ લોકો જાણીબૂજીને મરાઠીનો વિરોધ કરીને એ કઈ રીતે મહારાષ્ટ્રદ્વેષી છે એ દર્શાવે છે. અમે નહીં બોલીએ, અમે વંદે માતરમ્ નહીં બોલીએ એવો અમુક લોકોનો આગ્રહ હોય છે એ ખોટો છે. લોકો આ બધું જુએ છે અને એક દિવસ તેમને તેમની જગ્યા દેખાડી દેશે’
MNSના એક નેતાએ આ શપથ સરકારના મોઢા પર તમાચા સમાન ગણાવી હતી. જોકે ઝીશાન સિદ્દીકીએ બચાવ કરતાં કહ્યું હતું કે ‘આપણે દેશ તરીકે આગળ વધી રહ્યા છીએ ત્યારે લોકોએ અંગ્રેજીમાં બોલવું જોઈએ. કોઈ માણસ અંગ્રેજી, હિન્દી કે મરાઠીમાં શપથ લે તો શું થઈ ગયું? બધી ભાષા એક જ છે.’