યુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
યુસુફ પઠાણ
ટીમ ઇન્ડિયાના પાવર-હિટર યુસુફ પઠાણે કમબૅકની હવે કોઈ શક્યતા ન જણાતાં ગઈ કાલે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. યુસુફ પઠાણ ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યો હતો. રિટાયરમેન્ટની જાહેરાત કરતાં પઠાણે કહ્યું કે ‘સમય આવી ગયો છે કે હું મારી આ ઇનિંગ પર હવે પૂર્ણવિરામ મૂકી દઉં. ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી હું સત્તાવાર રીતે રિટાયરમેન્ટ જાહેર કરું છું. મને મન ભરીને સપોર્ટ અને પ્રેમ આપવા બદલ હું મારા મિત્રો, પરિવાર, ટીમ, કોચ અને સંપૂર્ણ દેશનો આભાર માનું છું. ભારત માટે બે વર્લ્ડ કપ જીતવા અને સચિન તેન્ડુલકરને મારા ખભે ઉપાડવો એ મારા કરીઅરની સૌથી યાદગાર ક્ષણો હતી.’
યુસુફ પઠાણ ટીમ ઇન્ડિયા વતી ૫૭ વન-ડે અને ૨૨ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો હતો. બે વર્લ્ડ કપ ઉપરાંત યુસુફ ત્રણ-ત્રણ આઇપીએલ ચૅમ્પિયન ટીમનો મેમ્બર પણ રહી ચૂક્યો છે. યુસુફ ૨૦૦૮માં ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સ અને ૨૦૧૨ તેમ જ ૨૦૧૪માં કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમમાં હતો. રાજસ્થાન, કલકત્તા અને હૈદરાબાદ એમ ત્રણ ટીમ વતી ૧૭૫ આઇપીએલ મૅચમાં તેણે ૩૨૦૪ રન બનાવ્યા હતા અને ૪૨ વિકેટ લીધી હતી.