ટુર્નામેન્ટમાં ટકી રહેવા મુંબઈ સામે જીતવું રાજસ્થાન માટે અત્યંત જરૂરી
ટુર્નામેન્ટમાં ટકી રહેવા મુંબઈ સામે જીતવું રાજસ્થાન માટે અત્યંત જરૂરી
ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે પોતાની આગેકૂચ યથાવત્ રાખી છે અને આજના દિવસના બીજા મુકાબલામાં મુંબઈ અને રાજસ્થાન આમને-સામને થશે. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે રાજસ્થાને આજની મૅચ જીતવી અત્યંત જરૂરી છે, જ્યારે મુંબઈના રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમ માટે ચિંતાનો વિષય છે.
ફૉર્મમાં મુંબઈના પ્લેયર્સ
પંજાબ સામે બે સુપર ઓવર રમી હાર્યા બાદ મુંબઈએ ચેન્નઈને ૧૦ વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈનો હિટમૅન રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ચેન્નઈ સામેની મૅચ નહોતો રમી શક્યો તેમ છતાં, તેની ગેરહાજરીમાં કીરોન પોલાર્ડે સારી રીતે ટીમની કમાન સંભાળી હતી. બૅટિંગ અને બોલિંગમાં પણ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. એવામાં ટીમ આજની મૅચ જીતી પોતાની આગેકૂચ યથાવત્ રાખવા પ્રયાસ કરશે.
રાજસ્થાન માટે કરો યા મરો
રાજસ્થાનની ટીમના ટૉપ ઑર્ડર બૅટ્સમેન સતત સારું પર્ફોર્મન્સ આપવામાં નિષ્ફળ નીવડયા છે. બેન સ્ટૉક્સ, સંજુ સૅમસન અને જૉસ બટલરની ત્રિપુટી પાસેથી ટીમને ઘણી આશા છે. ૧૧માંથી ચાર મૅચ જીતી ચૂકેલા રાજસ્થાનનો ચેન્નઈ સામે ૭ વિકેટે વિજય થયા બાદ હૈદરાબાદ સામે આઠ વિકેટે પરાજય થયો હતો. આજની મૅચ જો રાજસ્થાન હારી જાય તો ટુર્નામેન્ટમાં આગળ વધવું તેમના માટે અઘરું થઈ રહેશે. માટે કરો યા મરો જેવી પરિસ્થિતિમાં આજની મૅચ રાજસ્થાન માટે જીતવી અત્યંત જરૂરી છે.