ભારત માટે એક ટેસ્ટ મૅચ રમવી એ પણ મારા માટે ખૂબ મોટી વાત છે: ચહલ
યુઝવેન્દ્ર ચહલ
આંકડાઓ કહે છે કે ભારતીય ક્રિકેટ ટીમનો યુવા પ્લેયર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જ્યારે પણ એક મૅચમાં સાથે રમે છે ત્યારે ભારતના જીતવાના ચાન્સ વધી જાય છે. જોકે ચહલનું કહેવું છે કે તે ભારત માટે એક ટેસ્ટ મૅચ રમીને પણ ખુશ થઈ જશે. કુલદીપ સાથે ટેસ્ટ મૅચ રમવાની વાત કરતાં ચહલે કહ્યું કે ‘અમે બન્ને રિસ્ટ સ્પિનર છીએ અને ઘણા સમયથી અમે સાથે બોલિંગ કરતા આવ્યા છીએ. બૅટ્સમેનોને વધારે વેરિયેશન મળતાં હોય છે. જો મારી કેટલીક ઓવર સારી જાય તો કુલદીપની પણ કેટલીક ઓવર સારી જાય છે એવું અમે નોંધ્યું છે. જોકે હું હંમેશાં મારું માઇન્ડ-સેટ એ બધી વાતોથી અલગ રાખું છું અને ગેમ પર ફોકસ કરું છું. તમે જ્યારે એક સિંગલ સ્પિનર તરીકે રમો છો ત્યારે તમારી જવાબદારી વધી જાય છે અને એક કૅપ્ટન માટે પણ એ અઘરું બની જાય છે કે સ્પિનરની ૧૦ ઓવર ક્યારે અને કેવી રીતે વાપરે. મિડલ ઓવરમાં અમને ભરોસો હોય છે કે અમે વિકેટ લઈ શકીશું. મારી ૧૦ ઓવરમાં જો હું ૭૦ રન આપીને ત્રણ વિકેટ પણ લઉં તો ટીમ માટે એ ફાયદાકારક હોય છે. ટેસ્ટ ક્રિકેટના સંદર્ભમાં વાત કરું તો જો મને ભારતીય ટીમ વતી એક ટેસ્ટ મૅચ રમવાની તક મળશે તો મને ઘણું ગમશે. આ એક અલગ જ ફીલિંગ હશે.’