હરભજન-યુવરાજ મારા નાના ભાઈ જેવા, તેમને મારવાનો સવાલ જ નથી : અખ્તર
ભારતીય સ્પિનર હરભજન સિંહે દાવો કર્યો હતો કે મારી અને યુવરાજ સિંહ સાથે પાકિસ્તાની દિગ્ગજ બોલર શોએબ અખ્તરે મારઝૂડ કરી હતી. એનો જવાબ આપતાં શોએબ અખ્તરે કહ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં રજનું ગજ કરવામાં આવ્યું છે. શોએબે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હરભજને સમગ્ર બનાવને વધુપડતું મહત્વ આપ્યું છે. હા, ૨૦૦૪માં આ ઘટના બની હતી અને ત્યારે અમે રાવલપિંડીમાં ટેસ્ટ-મૅચ રમી રહ્યા હતા, પરંતુ એમાં કોઈ ગંભીરતા નહોતી. એ માત્ર મજાક માટે કરવામાં આવ્યું હતું. અમે મસ્તી જ કરતા હતા. ભજી અને યુવી મારા નાના ભાઈ જેવા છે. તેમને મારવાનો સવાલ જ પેદા નથી થતો.’
હરભજને ભારતીય ટીવી-ચૅનલ પર આ ઘટનાની વાત કરી હતી એથી પાકિસ્તાની મીડિયાએ પણ તેને ખાસ મહત્વ આપ્યું હતું. એ સિરીઝમાં પાકિસ્તાનના કૅપ્ટન રહેલા ઇન્ઝમામ-ઉલ-હકે પણ એ ઘટનાને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે શોએબ એટલો તાકાતવર હતો કે તેને ગળે મળીએ કે તેની સાથે હાથ મિલાવીએ તો પણ અન્ય ખેલાડીને દુખવા માંડતું હતું.
હરભજન સિંહે કહ્યું હતું કે ‘શોએબે એક વખત મને કહ્યું હતું કે હું તને તારા રૂમમાં આવીને મારીશ. મેં જવાબ આપ્યો હતો, આવી જા, જોઈએ છે કોણ કોને મારે છે? હું ઘણો ડરી ગયો હતો. તેણે એક વખત મને અને યુવરાજને રૂમમાં આવીને માર્યા હતા. તેને કાબૂમાં કરવો મુશ્કેલ હતો.