મન્કીગેટ વિવાદમાં ભજીને સજા નહોતી મળી : બૉર્ડર
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલન બૉર્ડરના જણાવ્યા પ્રમાણે ઍન્ડ્ર્યુ સાયમંડ્સ તથા હરભજન સિંહ ઉર્ફે ભજી વચ્ચે થયેલા મન્કીગેટ નામે જાણીતા વિવાદમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધ ખરાબ ન થાય એવા ડરને કારણે ભજી વિરુદ્ધ કડક કાર્યવાહી નહોતી કરી. ઍલન બૉર્ડરે પોતાના નવા પુસ્તક ‘ક્રિકેટ ઍઝ આઇ સી ઇટ’માં જણાવ્યા પ્રમાણે આ જ કારણે મેં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને છોડ્યું હતું, કારણ કે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને બોર્ડે પૂરતો ટેકો નહોતો આપ્યો.
ADVERTISEMENT
ઍલન બૉર્ડરે કરેલા દાવા મુજબ ૨૦૦૭માં ભારતમાં રમાયેલી વન-ડે સિરીઝ દરમ્યાન મૅન ઑફ ધ મૅચ રહેલા સાયમંડ્સ સામે વડોદરા તથા નાગપુરમાં દર્શકોએ ટિપ્પણી કરી હતી. મુંબઈમાં ભજીએ મેદાન પર તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. ભારતીય સ્પિનર ભજીને સિડનીમાં ઍન્ડ્ર્યુ સાયમંડ્સ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ત્રણ મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો આ પ્રતિબંધ હટાવી લેવામાં ન આવે તો ભારતીય ટીમે ટૂર રદ કરવાની ધમકી આપી હતી. જો મૅચ રદ થાય તો ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને કુલ ૭૦ લાખ અમેરિકન ડૉલરની ખોટ થાય એમ હતી. એથી રૂપિયા માટે ઑસ્ટ્રેલિયન બોર્ડ ચૂપ રહ્યું. જોકે એના કારણે ઍન્ડ્ર્યુ સાયમંડ્સના ક્રિકેટ પર ઘણી અસર પડી હતી.
સચિન તેન્ડુલકરે પણ પોતાની આત્મકથામાં એ વખતે ભારતે પ્રવાસ રદ કરવાની ધમકી આપ્યાની વાત કરી હતી. જોકે એ વખતે આ તમામ વાતોને નકારવામાં આવી હતી.