ડે-નાઇટ ટેસ્ટમાં વિઝિબિલિટીની સમસ્યા નડી શકે છે : પુજારા
ચેતેશ્વર પુજારા
(પી.ટી.આઇ.) ઇન્ડિયન ક્રિકેટ ટીમના પાયાના પ્લેયર ચેતેશ્વર પુજારાનું ડે-નાઇટ ટેસ્ટ વિશે કહેવું છે કે ઓછા અજવાશમાં રમવાને લીધે મૅચમાં વિઝિબિલિટીની સમસ્યા નડી શકે છે. જોકે આ મૅચ માટે બંગલા દેશ અને ભારતની ક્રિક્ટ ટીમ કમર કસીને મહેનત કરી રહી છે. કેમ કે બન્ને ટીમ પહેલી વાર પિન્ક બૉલથી ઇન્ટરનૅશનલ ટેસ્ટ મૅચ રમશે. પુજારાએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘હું પહેલાં પિન્ક બૉલથી દુલીપ ટ્રોફીમાં રમ્યો છું અને એ એક સારો અનુભવ હતો. પિન્ક બૉલથી ડોમેસ્ટિક ક્રિકેટ રમવામાં કોઈ વાંધો નથી. હા, દિવસ દરમ્યાન વિઝિબિલિટીની સમસ્યા નહીં નડે, પણ સાંજના સમય પછી એ સમસ્યા થશે અને એ સેશન અઘરાં હશે.
જોકે ટીમ માટે આ એક નવી ચૅલેન્જ છે અને અમને નથી ખબર કે વાસ્તવમાં શું થવાનું છે. પણ હા, આ મૅચ પહેલાં અમે પિન્ક બૉલ સાથે કેટલાંક પ્રૅક્ટિસ-સેશન કરીશું જેથી બૉલની ટર્નિંગ વિશે અમને થોડોઘણો આઇડિયા મળે.’ ટીમમાં પુજારા સિવાય મયંક અગરવાલ, રિષભ પંત, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને વૃદ્ધિમાન સહાને ઘરેલુ ક્રિકેટમાં પિન્ક બૉલથી રમવાનો અનુભવ છે.