કોહલી દરેક ફૉર્મેટમાં સારો છે, કૅપ્ટન્સી વહેંચવાનો સવાલ જ નથી: માંજરેકર
સંજય માંજરેકર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરનું કહેવું છે કે વિરાટ કોહલી ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં બેસ્ટ છે અને એથી કૅપ્ટન્સીના ભાગલા પાડવાની જરૂર નથી. કેટલાક સમય પહેલાં એવો વિવાદ ચાલ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ માટે દરેક ફૉર્મેટમાં અલગ-અલગ કૅપ્ટન હોવો જોઈએ જેથી કોહલી પરનો ભાર ઓછો કરી શકાય. આથી રોહિત શર્માને પણ ટીમની કમાન સોંપવાની વાત કરવામાં આવી રહી હતી, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સનો તે સફળ કૅપ્ટન રહી ચૂક્યો છે. આ વિશે પોતાનો મત આપતાં સંજય માંજરેકરે કહ્યું કે ‘તમે કૅપ્ટનના ભાગલા કરીને કૅપ્ટન્સીને સ્પ્લિટ ન કરી શકો. જો તમારો કૅપ્ટન ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં સારો હોય તો તમારે કૅપ્ટન કે કૅપ્ટન્સીને છૂટી પાડવાની જરૂર રહેતી નથી. ભારતીય ટીમને આવા કોઈ પણ ભાગલાની જરૂર નથી. હા, ભવિષ્યમાં એવો વારો આવી શકે છે જ્યારે તમારે ભાગલા કરવા પડે, પણ આપણે એવું ઇચ્છતા નથી. ટેસ્ટ ક્રિકેટમાં ઇન્ડિયા સારી પોઝિશન પર છે. જોકે વન-ડે ફૉર્મેટમાં એની અછત છે અને ટી૨૦ ફૉર્મેટમાં પણ એવી જ હાલત છે. જોકે સદ્નસીબે અત્યારના સમયમાં ભારતની હાલત સારી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પોતાના સમયમાં ભારતનાં ત્રણેય ક્રિકેટ ફૉર્મેટમાં સારી કામગીરી બજાવી હતી.’