વિરાટ કોહલીને કયો કોચ જોઈએ છે એ કહેવાનો તેને અધિકાર છે: સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ અગ્રેસિવ કૅપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને કયો કોચ જોઈએ છે એ કહેવાનો તેને અધિકાર છે. વેસ્ટ ઇન્ડીઝની ફ્લાઇટ પકડતાં પહેલાં મુંબઈમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં વિરાટ કોહલીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના હેડ કોચ બની રહે તો સારું.
ADVERTISEMENT
એક ફુટબૉલ લીગની પ્રાઇઝ-ડિસ્ટ્રિબ્યુશન સેરેમનીમાં ગાંગુલીએ કહ્યું કે વિરાટ કૅપ્ટન છે એટલે તેને કયો કોચ જોઈએ છે એ બોલવાનો અધિકાર છે. કોહલીએ મુંબઈમાં કહ્યું હતું કે ‘ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીએ હજી મારો કૉન્ટૅક્ટ નથી કર્યો. જો મારો ઓપિનિયન પૂછવામાં આવે તો રવિભાઈ કોચ તરીકે ચાલુ રહેશે તો અમને આનંદ થશે.’
બોર્ડની નવી નિમાયેલી ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીના હેડ કપિલ દેવ નિખંજ અને કમિટીના મેમ્બર ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ અને ભૂતપૂર્વ વિમેન્સ ક્રિકેટર શાન્તા રંગાસ્વામી છે.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાને સ્ટીવન સ્મિથની સેન્ચુરીએ મુસીબતમાંથી ઉગાર્યું
અંશુમન ગાયકવાડે મીડિયાને કહ્યું કે ‘ભારતની ટીમના હેડ કોચના પદ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એમાંથી કોચ સિલેક્ટ કરવામાં આવશે. ભારતના અને ઘણા ભૂતપૂર્વ વિદેશી ખેલાડીઓએ કોચ માટે ઍપ્લિકેશન કરી છે. કૅપ્ટન કંઈ પણ બોલી શકે છે, એનાથી સિલેક્ટરોને કોઈ ફરક નથી પડતો. અમે ઓપન માઇન્ડ સાથે કોચ સિલેક્ટ કરીશું. બધુ ભારતીય ક્રિકેટ બોર્ડ પર નિર્ભર કરે છે. બોર્ડ જે ગાઇડલાઇન્સ આપશે એ પ્રમાણે અમારે કામ કરવાનું રહેશે. વિમેન્સ કોચ સિલેક્ટ કરતી વખતે અમે ટીમની કૅપ્ટનને નહોતું પૂછ્યું.’`