૨૦ ફેબ્રુઆરીથી શરૂ થશે વિજય હઝારે ટ્રોફી
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ હાલમાં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટના સફળતાપૂર્વક કરેલા આયોજન બાદ હવે વિજય હઝારે ટુર્નામેન્ટની તારીખો જાહેર કરી દીધી છે. આ ટુર્નામેન્ટ ૨૦ ફેબ્રુઆરીથી ૧૪ માર્ચ સુધી દેશનાં ૬ શહેર સુરત, ઇન્દોર, બૅન્ગલોર, કલકત્તા, જયપુર અને તામિલનાડુમાં બાયો-બબલ વાતાવરણમાં રમાશે. ટીમનું વિભાજન પાંચ એલિટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપમાં કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના ખેલાડીઓએ ૧૩ ફેબ્રુઆરીએ બાયો-બબલમાં પ્રવેશવાનું રહેશે અને ત્યાર બાદ તેમની ત્રણ કોરોના-ટેસ્ટ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલ ૮ અને ૯ માર્ચે તથા સેમી ફાઇનલ ૧૧ માર્ચે અને ફાઇનલ ૧૪ માર્ચે રમાશે.
બીસીસીઆઇએ જણાવ્યા મુજબ એલિટ ‘એ’ ગ્રુપમાં ગુજરાત, ચંડીગઢ, હૈદરાબાદ, ત્રિપુરા, વડોદરા અને ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મૅચ સુરતમાં રમાશે, જ્યારે એલિટ ‘બી’ ગ્રુપમાં તામિલનાડુ, પંજાબ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ છે અને એ મૅચ ઇન્દોરમાં રમશે. પ્લેટ ગ્રુપની મૅચ તામિલનાડુમાં રમાશે.