કુલદીપ યાદવની અવગણના દુર્ભાગ્યપૂર્ણ : ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર
ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં કુલદીપ યાદવનો સમાવેશ શા માટે ન કરવામાં આવ્યો એ પ્રશ્ન સૌકોઈ માટે ગઈ કાલે ચર્ચાનો વિષય બન્યો હતો. કૉમેન્ટરી દરમ્યાન સુનીલ ગાવસકરે પણ આ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, તો ગૌતમ ગંભીરે પણ આ વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘ઈમાનદારીથી કહું તો કુલદીપનું ટીમમાં સિલેક્શન ન થવું દુર્ભાગ્યપૂર્ણ છે. મારું માનવું છે કે ટીમ-મૅનેજમેન્ટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવું જોઈતું હતું, કેમ કે કાંડાના સ્પિનર ઇંગ્લિશ બૅટ્સમૅન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કુલદીપ ઘણા સમયથી ટીમ સાથે છે, પણ તેને રમવા નથી મળી રહ્યું. આપણે પહેલાં પણ જોયું છે કે કાંડાનો સ્પિનર કઈ રીતે મૅચ પલટી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે ટીમ બે ઑફ-સ્પિનર સાથે મેદાનમાં ઊતરી છે. કદાચ કૅપ્ટન વિરાટ કોહલી સાતમા અને આઠમા ક્રમાંકને પ્લેયર તરીકે બૅટિંગ કરી શકે એવા બોલરોની ગણતરી રાખતો હશે.’