ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી સ્વિંગ કિંગનું રિટાયરમેન્ટ
છેલ્લા લાંબા સમયથી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ઑલરાઉન્ડર પ્લેયર ઇરફાન પઠાણે ગઈ કાલે ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. તે છેલ્લે ૨૦૧૯માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં જમ્મુ ઍન્ડ કાશ્મીર વતી રમ્યો હતો.
ઇરફાને ૧૯ વર્ષની વયે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઍડીલેડમાં ડિસેમ્બર ૨૦૦૩માં ડેબ્યુ કર્યું હતું. સમય જતાં વન-ડેમાં કોચ ગ્રેગ ચૅપલે તેને ત્રીજા ક્રમે બૅટિંગમાં પ્રમોટ કર્યો હતો. ૨૦૦૭માં વર્લ્ડ ટી૨૦નો ખિતાબ જીતેલી ટીમ ઇન્ડિયાનો ભાગ રહી ચૂકેલો અને ‘સ્વિંગ કિંગ’ના નામે ઓળખાતો ઇરફાન છેલ્લે ઑક્ટોબર ૨૦૧૨માં ટીમ ઇન્ડિયા માટે રમ્યો હતો. તે પોતાની ક્રિકેટ કરીઅરમાં કુલ ૨૯ ટેસ્ટ, ૧૨૦ વન-ડે અને ૨૪ ટી૨૦ મૅચ રમ્યો છે જેમાં તેણે અનુક્રમે ૧૧૦૫ રન અને ૧૦૦ વિકેટ, ૧૫૪૪ રન અને ૧૭૩ વિકેટ તેમ જ ૧૭૨ રન અને ૨૮ વિકેટ લીધી હતી. ૨૦૦૬માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મૅચમાં હૅટ-ટ્રિક લેનારો તે બીજો ભારતીય પ્લેયર બન્યો હતો. ૨૦૧૭માં તે પોતાની અંતિમ આઇપીએલ મૅચ રમ્યો હતો.
રિટાયરમેન્ટની જાહેરાત કર્યા બાદ પાર્થિવ પટેલ, મોહમ્મદ કેફ, વીવીએસ લક્ષ્મણ જેવા પ્લેયરોએ તેને શુભેચ્છા પાઠવી હતી.