સેવન હિલ્સ હૉસ્પિટલમાં પ્લાઝમા થેરપી યુનિટનું સચિને કર્યું ઉદ્ઘાટન
સચિન તેન્ડુલકર
મુંબઈના અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં સચિન તેન્ડુલકરે ગઈ કાલે કોવિડ-19 પ્લાઝમા થેરપી યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. કોરોનાના દરદીઓના ઈલાજ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ વિશે વાત કરતાં સચિને કહ્યું કે ‘આપણે કોરોના નામની બીમારીનો સામનો કરી રહ્યા છીએ. આ સમયે દરદીઓને મદદ કરવા આપણા ડૉક્ટર, નર્સ, પૅરામેડિકલ સ્ટાફ, પોલીસ, સુધરાઈ અને સરકારી-કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. વિશ્વ સ્તરે સંશોધકો આ બીમારીની દવા શોધી રહ્યા છે. આ પ્લાઝમા થેરપી એકદમ પ્રૅક્ટિકલ હોય તેવા દરદીઓની સારવાર કરવા માટે શરૂ કરવામાં આવી છે જે માટે હું બીએમસીને અભિનંદન આપું છું. જે લોકો કોરોનામાંથી સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે હું તેમને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને પ્લાઝમા થેરપી માટે પોતાનું બ્લડ ડોનેટ કરે.’